Dahod News : દાહોદમાં પોલીસકર્મીના ઘરમાં જ ખેલાયો ખૂની ખેલ, અગમ્ય કારણોસર પત્નીએ 2 સંતાનોની હત્યા કરી પોતે ઝેર ગટગટાવ્યું

Dahod News : દાહોદ શહેરમાં આજે બે ખૂબ જ ચોંકાવનારી ઘટનાઓ બની છે. એક કિસ્સામાં માતાએ પોતાનાં ચાર સંતાનો સાથે કૂવામાં પડતું મૂક્યું હતું. જ્યારે બીજી ઘટનામાં પોલીસ પરિવારને વેરવિખેર કરી નાખ્યો હતો. જો કે આ બે ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પોલીસ કર્મચારીનો પરિવાર નંદવાયો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર દાહોદનાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીના ઘરમાં જ શોક છવાયો છે. પોલીસકર્મીની પત્નીએ પોતાના જ 7 અને 3 વર્ષનાં બે વ્હાલસોયા પુત્રોની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.
સૌ પ્રથમ બાળકોને ઝેર આપ્યું, પછી પોતે પીધું
પ્રાપ્ત વિગતો અનુસાર, એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલા પોતાના બે માસૂમ પુત્રોને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ઝેરની અસરને કારણે બંને બાળકોએ તરફડિયાં મારીને દમ તોડ્યો હતો. પોતાના જ સંતાનોના નિર્જીવ દેહ જોઈને માતાએ પણ એ જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ ડોક્ટરોની ટીમ દ્વારા તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ બેડામાં અરેરાટી
ખુદ પોલીસ પરિવારમાં સર્જાયેલી આ કરૂણ દુર્ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. બી-ડિવિઝન પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું આ પાછળ કોઈ પારિવારિક કંકાસ જવાબદાર છે કે પછી મહિલા કોઈ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી? તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. એક હસતા-રમતા પરિવારનાં બે જીવનદીપ બુઝાઈ જતાં સમગ્ર દાહોદમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

