VIDEO: Chhota Udaipur / ડેમ છલોછલ હોવા છતાં ખેડૂતોના ખેતરો સૂકા ભટ્ટ; જર્જરિત કેનાલોને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ
સરકાર જ્યારે ખેડૂતોની આવક બમણી કરવાના અને 'હર ખેત કો પાની'ના દાવા કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નાલેજ સહિતના ત્રણ ગામોમાં વરવી વાસ્તવિકતા સામે આવી છે. જિલ્લા મથકથી માત્ર 5 કિમી દૂર આવેલો નાલેજ ડેમ પાણીથી છલોછલ હોવા છતાં, તંત્રની ઘોર બેદરકારીને કારણે ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે.
નાલેજ ગામે સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલો ડેમ હાલમાં પાણીથી છલોછલ છે. આ ડેમ દ્વારા નાલેજ, ઓલિઆંબા, પાધરવાટ અને સિમલ ફળિયા જેવા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગની કેનાલો વર્ષો જૂની હોવાથી સાવ જર્જરિત બની ગઈ છે. કેનાલોમાં ઠેર-ઠેર મોટા ગાબડા પડ્યા છે અને જંગલી ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે પાણી ખેતર સુધી પહોંચવાને બદલે રસ્તામાં જ વેડફાઈ જાય છે.
સિંચાઈનું પાણી ન મળવાને કારણે આ ગામોના ખેતરો અત્યારે સૂકાભટ્ટ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ મહામહેનતે કરેલો વાવેતરનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હજારો લીટર પાણી કેનાલોના લીકેજને કારણે વેડફાઈ રહ્યું છે, પણ જેમને જરૂર છે તેવા ખેડૂતોના નસીબમાં માત્ર ધૂળ અને નિરાશા બાકી રહી છે.
સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, વારંવાર સિંચાઈ રજૂઆતો કરવા છતાં હજુ સુધી કેનાલો નવી બનાવવામાં આવી નથી. ત્યારે તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે નવી કેનાલો બનાવવામાં આવે અને ખેડૂતોને પાણી મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

