Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : People of 50 villages are troubled by gross negligence of the administration

Chhota Udaipur / પાનવડમાં 1 વર્ષથી બ્રિજ બિસ્માર હાલતમાં; તંત્રની ઘોર બેદરકારીથી 50 ગામના લોકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર એક વર્ષથી બ્રિજની હાલત ગંભીર છે. બ્રિજનો એકબાજુનો ભાગ ધોવાઈ ગયો છે, ત્યારે રાહદારીઓમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જો કે, બ્રિજ ખરાબ હાલતમાં હોવાથી નદીમાંથી કાચુ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન પાણીના પ્રવાહના કારણે ત્યાથી પસાર થઈ શકાતુ નથી. જેના કારણે સ્થાનિકો-રાહદારીઓને બે કિલોમીટરનું વધુ અંતર કાપવું પડે છે. બ્રિજની બિસ્માર સ્થિતિ હોવા છતાં રાજ્ય માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બ્રિજ બનાવવાનું નામ લેતા નથી, ત્યારે સવાલ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? 

App Store

પાનવડમાં ક્ષતિગ્રસ્ત બ્રિજથી 50 ગામના લોકો પરેશાન

આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, એક વર્ષથી સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ બ્રિજને જોવા માટે પણ આવ્યા નથી. 20થી વધુ ગામો અને મધ્યપ્રદેશને જોડતા માર્ગની ભયાવહ સ્થિતિના કારણે આસપાસના 50થી વધુ ગામોના લોકો-રાહદારીઓને દુર્ઘટનાનો ભય રહે છે.

પાનવડ ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર મોટી આવેલી નદી છે. જેમાં બ્રિજ ખરાબ હાલતમાં હોવાથી નદીમાંથી રસ્તો કરવામાં આવ્યો છે. જો કે, ચોમાસામાં ઘણાં દિવસો સુધી પાણી ઊતરતું નથી. જ્યારે ચોમાસાને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે એક વર્ષ સુધી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બ્રિજ બનાવવા માટે કોઈ કામગીરી હાથ ના ધરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે 

ગ્રામજનોએ આક્રોશ સાથે માગ કરી હતી કે, જો અધિકારીઓએ જૂના બ્રિજની મરામત સમયસર કરાવી હોત તો લોકોને આજે મુશ્કેલીનો સામનો કરવો ન પડત. આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરનાર નેતાઓ બ્રિજ બનાવવા માટે સરકારમાં ધારદાર રજૂઆત પણ કરતા નથી. પ્રજાને રામ ભરોશે મૂકી દેતા હાલ યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિપક્ષ મજબૂત થઈને ઉભર્યો છે. આની અસર આગમી વિધાનસભાની ચૂંટણીમાં ના પડે તે માટે ચૂંટાયેલા ધારાસભ્યો જાગીને પ્રજાના કામો કરે અને બ્રિજ બનાવવા માટે સરકાર માંથી તાત્કાલિક મંજૂરી લેવામાં આવે. '

સ્થાનિકોએ જણાવ્યું કે, બ્રિજ તૂટેલો હોવાથી પાનવડ ગામમાં એસટી પણ આવતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ એકથી બે કિલોમીટર દૂર બસ સ્ટેન્ડ સુધી પગપાળા ચાલીને જવા મજબૂર થયા છે.