Chhota Udaipur જિલ્લાના મોરખલા નજીક નર્મદા મુખ્ય કેનાલ બિસ્માર હાલતમાં, સ્થાનિકોએ સમારકામની કરી માંગ

છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના મોરખલા ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલની સાઇડ ઢાળ પરનું RCC લેયર ઘણા સમયથી તૂટી ગયેલું હોવાથી સ્થાનિકમાં મોટી દુર્ઘટનાનો ભય વ્યાપી ગયો છે. આ મામલે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા સમયસર રિપેરિંગ ન કરવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા
મળતી માહિતી મુજબ, મોરખલા ગામ નજીક કેનાલની સાઇડ પરનું RCC લેયર અનેક જગ્યાએ તૂટી ગયું છે, જેના કારણે માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને ગાબડાં પડતાં દેખાઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ આ જગ્યાએ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તકલાદી કામને કારણે ફરીથી લેયર તૂટી પડ્યું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
નર્મદા મુખ્ય કેનાલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે અને અનેક ગામોને જીવનદાયી પાણી પૂરૂં પાડે છે. તેમ છતાં આવી બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે કેનાલના અસ્તિત્વ પર જ જોખમ ઊભું થતું હોવાનું લોકોનું માનવું છે.
સમગ્ર મામલે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લઈ મજબૂત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.

