VIDEO: Chhota Udaipur / કરોડોના ખર્ચે બની રહેલા ફોરલેન હાઈવેની કામગીરીમાં ગેરરીતિ; પ્રોટેક્શન વોલમાં તિરાડો પડતા તંત્ર સામે રોષ
કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં પરિવહન સુવિધા સુધારવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અધિકારીઓની મિલીભગત અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે આ યોજનાઓ ભ્રષ્ટાચારની ભેટ ચઢી રહી હોય તેમ લાગી રહ્યું છે. નસવાડી તાલુકાના ધામસિયાથી જંબુગામને જોડતા નેશનલ હાઈવે 56ના ફોર-લેન કામગીરીમાં મોટા પાયે 'ગોબાચારી' સામે આવી છે.
અંદાજીત ₹1100 કરોડના ખર્ચે બની રહેલા આ ફોર-લેન હાઈવેની સુરક્ષા માટે સાઈડમાં RCC દીવાલો બનાવવામાં આવી છે. જોકે, આ દીવાલો કામ પૂર્ણ થાય તે પહેલા જ ફાટવા લાગી છે. દીવાલોના પાયામાં મજબૂત કોંક્રીટને બદલે માત્ર માટી ભરીને ઉપરછલ્લી કામગીરી કરવામાં આવી છે. પાયાની ગોબાચારી છુપાવવા માટે તેની આસપાસ માટીના ઢગલા કરી દેવાયા છે જેથી નબળું કામ દેખાય નહીં. થોડા જ સમયમાં RCC સ્ટ્રક્ચરમાં મસમોટી તિરાડો પડતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
નિયમ મુજબ હાઈવેની કામગીરી દરમિયાન નેશનલ હાઈવેના જવાબદાર અધિકારીઓ કે એન્જિનિયરોનું સુપરવિઝન હોવું અનિવાર્ય છે. પરંતુ આ સાઈટ પર કોઈ પણ જવાબદાર અધિકારી નથી હતો. રોડના પુરાણમાં નિયમ મુજબની સામગ્રીને બદલે ડુંગરાના મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની બૂમ ઉઠી છે.
એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે, ત્યારે બીજી તરફ નસવાડીના આ હાઈવે પર થતી કામગીરી ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો પેશ કરી રહી છે. ત્યારે હવેચોમાસામાં આ કામગીરી કેવી રહેશે તે જોવાનું રહ્યું.

