VIDEO: Chhota Udaipur / નસવાડીના કાંધા ગામે કામ કરી રહેલા મજૂરનું વીજ કરંટથી મોત
નસવાડી તાલુકાના કાંધા ગામે મકાનના ધાબા પર ટાંકી બેસાડવાનું કામ કરી રહેલા એક મજૂરનું હાઈટેન્શન વીજ લાઈનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, નસવાડીના કાળીદોરી ગામનો ખુશાલભાઈ રાઠવા નામનો મજૂર કાંધા ગામે એક દુકાન/મકાનના ધાબા પર પાણીની ટાંકી ચઢાવવા માટે ગયો હતો. કામ દરમિયાન ધાબા પરથી પસાર થતા મધ્ય ગુજરાત વીજ કંપનીના હાઈટેન્શન વાયરો નડતરરૂપ હતા. મજૂર જ્યારે વાયરની નજીક રહેલા ઝાડની ડાળી તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક ડાળી લાઈનને અડી જતાં જોરદાર કરંટ લાગ્યો હતો અને યુવકનું ધાબા પર જ મોત નિપજ્યું હતું.
સાથે કામ કરી રહેલા કડિયા (મિસ્ત્રી) એ જણાવ્યું કે, ખુશાલને કરંટ લાગતા તેમણે પાવડાના હાથા વડે તેને છોડાવવા અને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ વીજ પ્રવાહ એટલો તેજ હતો કે કડિયો પણ ડરના માર્યા પાછળ હટી ગયો હતો અને નજર સામે જ મજૂર જીવતો ભૂંજાઈ ગયો હતો.
ઘટનાને પગલે જાણવા મળ્યું છે કે, જે મકાન પર આ અકસ્માત થયો તેના માલિકે અગાઉ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને આ જોખમી લાઈનો હટાવવા મૌખિક રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓએ લાઈન હટાવવા બદલ દોઢ લાખ રૂપિયા ભરવા પડશે તેવું જણાવતા, નાનો વેપારી આટલી મોટી રકમ ભરી શક્યો નહોતો. પરિણામે લાઈનો ત્યાં જ રહી અને આજે એક મજૂરે જીવ ગુમાવવો પડ્યો. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

