VIDEO: ભાવનગરમાં ધોળેદિવસે મંદિરમાં ચોરી: એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાંથી ભગવાનનો ચાંદીનો મુગટ ચોરાયો
VIDEO: ભાવનગર શહેરના અતિ વ્યસ્ત ગણાતા એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાં ધોળેદિવસે ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હોટેલ વૃંદાવનની સામે આવેલા આ દેરાસરમાંથી એક અજાણ્યો શખ્સ અજીતનાથ ભગવાનની મૂર્તિ પરનો ચાંદીનો મુગટ ચોરી કરી ફરાર થઈ ગયો છે.
જાણો સમગ્ર ઘટનાક્રમ
ગત શુક્રવાર, 23 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11:00 થી 11:30 વાગ્યાના સમયગાળામાં આ ઘટના ઘટી હતી. દેરાસરના પૂજારી મહેશભાઈ રાઠવા જ્યારે ઉપરના માળે પૂજા કરવા ગયા હતા, ત્યારે દેરાસરના ગર્ભગૃહમાં કોઈ હાજર ન હોવાનો લાભ ઉઠાવી એક તસ્કર અંદર પ્રવેશ્યો હતો. આ શખ્સ અજીતનાથ ભગવાનની મૂર્તિ પાસે પહોંચ્યો હતો અને ત્યાંથી આશરે 500 ગ્રામ વજનનો અને 50,૦૦૦ની બજાર કિંમત ધરાવતો ચાંદીનો મુગટ ચોરી લીધો હતો.
CCTVમાં કેદ થઈ ચોરી
મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની આખી ઘટના કેદ થઈ છે. ફૂટેજમાં સફેદ કપડાં અને કાળી કોટી પહેરેલો એક શખ્સ મુગટ ઉઠાવીને પોતાની કોટીના ખિસ્સામાં સંતાડી દેતો સ્પષ્ટ દેખાય છે. પૂજારી જ્યારે નીચે આવ્યા અને મુગટ ગાયબ જોયો ત્યારે ચોરીની જાણ થઈ હતી. હાલમાં ભાવનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

