VIDEO: ભાવનગરમાં ખાખી પર હુમલો: જુગારીઓએ 3 પોલીસ કર્મચારીઓને નિશાન બનાવ્યા, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા!
VIDEO: ભાવનગર જિલ્લામાં આવારા અને અસામાજિક તત્વોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે હવે તેઓ કાયદાના રક્ષકો એટલે કે પોલીસ પર પણ હુમલો કરતા અચકાતા નથી. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કૉન્સ્ટેબલ પર જુગારીઓ દ્વારા હીચકારો અને જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે રોષ અને ખળભળાટ વ્યાપી ગયો છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે જશવંતપુરા ગામ પાસે જુગાર અંગેની રેડ કે તપાસમાં હતી, ત્યારે અચાનક જુગારીઓના ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો.
લક્કીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ: આ હુમલામાં કૉન્સ્ટેબલ લક્કિરાજસિંહને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના જીવલેણ ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
અભેશંગભાઇ ભાવસંગભાઈ પરમાર: હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવીને અભેશંગભાઈને નજીકની ખાડીમાં ફેંકી દઈ મોતના મુખમાં ધકેલી દેવાની કોશિશ કરી હતી.
પ્રતિપાલસિંહ ધ્રૂપતસિંહ સરવૈયા: પોતાના સાથી કર્મચારીઓને બચાવવા વચ્ચે પડેલા પ્રતિપાલસિંહને પણ આવારા તત્વોએ ઢોરમાર માર્યો હતો.
પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે
પોલીસ પર હુમલાની ગંભીર જાણ થતા જ ભાવનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો પોલીસ કાફલો જશવંતપુરા ગામ ખાતે દોડી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલો કરનાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ડીવાયએસપીનું નિવેદન
આ ઘટના અંગે ભાવનગર ડીવાયએસપી આર.આર.સિંધલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ પર થયેલો આ હુમલો અત્યંત ગંભીર છે. કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને હુમલાખોરોને વહેલી તકે ઝડપી લેવામાં આવશે. હાલમાં ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

