ભાવનગર લઠ્ઠાકાંડ, દિલ્હીથી બોગસ બિલ્ટી બનાવનાર મુખ્ય શખ્સ ઝડપાયો

સંસ્કારી નગરી ભાવનગરને ઝેરી લઠ્ઠાના દાવાનળે હચમચાવી મૂકી છે. આ મરણતોલ કાંડમાં ૧૩ માસુમોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે ૭૦થી વધુ કમનસીબ લોકો આ ઝેરી રસાયણની ઝપટે ચડી હોસ્પિટલના ખાટલે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાવા મજબૂર બન્યા હતા. એસએમસીએ દિલ્હી ખાતેથી જીત કેમિકલ નામની કંપની ચલાવતા મુખ્ય સપ્લાયર મનજીતસિંઘની ધરપકડ કરી છે.જ્યારે ૧૦ શખ્સના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા સાંપડી
ભાવનગરમાં ગત ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સર્જાયેલા ચર્ચસ્પદ લઠ્ઠાકાંડના મોતના ગુનામાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા સાંપડી છે. કેમિકલયુક્ત ઝેરી દારૃ બનાવવા માટે દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરવાના અને તેની બોગસ બિલ્ટી બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય મનજીત સિંહ સૈનીની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ ચકચારી લઠ્ઠાકાંડમાં ધરપકડ કરાયેલા કુલ આરોપીઓનો આંકડો ૪૦ પર પહોંચ્યો છે.રાજ્યના પોલીસ મહાનિદેશક જી. એસ. મલિકની સૂચનાથી આ ગંભીર ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. જાડેજા ચલાવી રહ્યા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ઝેરી દારૃ બનાવવા માટે વપરાયેલું અતિ જોખમી કેમિકલ 'મિથેનોલ' દિલ્હીથી મંગાવવામાં આવ્યું હતું. આ મિથેનોલને કાયદેસર દર્શાવવા માટે દિલ્હીના મુંડકા ગામ ખાતે રહેતા ૪૩ વર્ષીય મનજીત સિંહ ક્રીશનચંદ્ર સૈની નામના શખ્સે 'થિનરદ તરીકેની ખોટી બિલ્ટી અને બિલ બનાવ્યા હતા. એસ.એમ.સી.ની ટીમે દિલ્હીમાં દરોડો પાડી મનજીત સિંહની અટકાયત કરી છે અને કોર્ટમાંથી તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. એસ.એમ.સી. દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં અત્યાર સુધીમાં ૩૯ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી ૩૮ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં છે જ્યારે ૧ આરોપી રિમાન્ડ હેઠળ હતો. દિલ્હીથી મનજીત સિંહની ધરપકડ થતાં જ આ ગુનામાં જેલભેગા થયેલા કુલ આરોપીઓની સંખ્યા ૪૦ થઈ ગઈ છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

