Bhavnagarમાં કાળજું કંપાવતો અકસ્માત; ST બસ ફૂટપાથ પર ચડી જતાં માતા-પુત્રીનું મોત, એક મહિલા ગંભીર

ભાવનગરમાં આજે એક અત્યંત કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી બસના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં વાહનની રાહ જોઈને ફૂટપાથ પર બેસેલાં માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે જ સર્જાયો અકસ્માત
મળતી વિગતો અનુસાર, ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાંથી સિહોર-ટાણા-વરલ રૂટની એસટી બસ બહાર નીકળી રહી હતી. તે સમયે અચાનક ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે દોડતી બસની બ્રેક ન વાગતાં બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને આગળ જઈને ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ફૂટપાથ પર બેઠેલા લોકો કંઇ પણ સમજે તે પહેલા બસ તેમના પર ચડી ગઇ હતી.
મૃતકો અને ઈજાગ્રસ્તની વિગતો
આ અકસ્માતમાં રામધરી સણોસરાના વતની 28 વર્ષીય લલીતાબેન ગુલાબસિંહ પરમાર અને તેમની 7 વર્ષની માસૂમ પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમારનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, ઠોડા-ઉમરાળાના વતની મધુબેન લાલજીભાઈ વાઘેલા નામના મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બસને ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને ઘટના અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

