VIDEO: ભરૂચમાં ચૂંટણી પહેલાં જનઆક્રોશ! 'પહેલા કામ, પછી મત', ગણેશ ટાઉનશીપના રહીશોએ લલકારી ચૂંટણી બહિષ્કારની ચેતવણી
VIDEO: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભરૂચના લિંક રોડ વિસ્તારમાં આવેલી ગણેશ ટાઉનશીપમાં એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. અહીંના જાગૃત રહીશોએ ચૂંટણી પ્રચાર માટે આવતા ઉમેદવારો અને રાજકીય પક્ષો સામે બગાવતનું રણશિંગુ ફૂંક્યું છે. 'પહેલા કામ, પછી મત'ના લખાણ સાથેના બેનરો આખી ટાઉનશીપમાં લગાવી દેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે હવે મતદાર વચનોથી છેતરાવા તૈયાર નથી.
30 વર્ષથી ગટર અને પાણીના પ્રશ્નો જથાવત્
ગણેશ ટાઉનશીપના રહીશોનો આક્ષેપ છે કે આ સોસાયટી છેલ્લા 30 વર્ષથી અસ્તિત્વમાં છે, તેમ છતાં અહીં પાયાની સુવિધાઓનો અભાવ છે. તૂટેલા રોડ, ઉભરાતી ગટરો અને પીવાના શુદ્ધ પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વખતે ચૂંટણી સમયે નેતાઓ આવે છે, હાથ જોડે છે અને મોટા-મોટા વચનો આપીને જતા રહે છે, પરંતુ ચૂંટણી જીત્યા બાદ કોઈ ડોકાતું પણ નથી.
રહીશોનો હુંકાર: "આ વખતે છેતરાઈશું નહીં"
સોસાયટીના પ્રમુખ રેખાબેન અને સ્થાનિક રહીશો રૂપા ચદરવાલા તેમજ હિમાંશુભાઈએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે વર્ષોથી વેરો ભરીએ છીએ છતાં નરક જેવી સ્થિતિમાં જીવીએ છીએ. આ વખતે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી કામ શરૂ નહીં થાય ત્યાં સુધી કોઈને મત આપીશું નહીં." રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે જો ઉમેદવારો મત માંગવા આવશે તો તેમને જનતાના આક્રોશનો સામનો કરવો પડશે.
જાગૃત મતદાર: લોકશાહી માટે સુખદ સંકેત
આ ઘટના માત્ર એક સોસાયટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બદલાતા ભારત અને જાગૃત મતદારની ઓળખ છે. જ્યારે નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે પ્રજા તેમને તેમના જૂના વચનોનો હિસાબ માંગી રહી છે. ભરૂચની આ ઘટના આગામી ચૂંટણીમાં અન્ય વિસ્તારોમાં પણ પ્રત્યાઘાત પાડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને રાજકીય પક્ષો આ રહીશોની વ્યાજબી માંગણીઓ સંતોષે છે કે પછી વિરોધ વંટોળ વધુ તેજ બને છે.

