VIDEO: ભરૂચમાં વ્યાજખોરનો આતંક! 3 લાખ સામે વસૂલ્યા 18 લાખ, છતાં વેપારીને દુકાનમાં ઘૂસીને માર માર્યો!
VIDEO: દક્ષિણ ગુજરાતના ભરૂચ શહેરમાં વ્યાજખોરીના રાક્ષસે ફરી એકવાર માથું ઊંચક્યું છે. શહેરના તુલસીધામ વિસ્તારમાં રહેતા અને કપડાંનો વ્યવસાય કરતા વેપારી દિલીપકુમાર સુથાર વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીએ માત્ર 3 લાખ રૂપિયાના બદલામાં વ્યાજ અને પેનલ્ટીના નામે અત્યાર સુધીમાં 18 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
ફરિયાદ મુજબ, વર્ષ 2022માં વેપારી દિલીપકુમારને ધંધાકીય જરૂરિયાત હોવાથી તેમણે અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5% વ્યાજ સાથે પરત કરવાની શરત નક્કી થઈ હતી અને સુરક્ષા માટે વેપારીએ ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા.
જોકે, મુદ્દલ રકમ ચૂકવી દીધા બાદ પણ આરોપી અજય શાહની લાલચ વધતી ગઈ હતી. તેણે વ્યાજનું વ્યાજ ગણીને અત્યાર સુધીમાં વેપારી પાસેથી 18 લાખ રૂપિયા પડાવી લીધા છે. તેમ છતાં આરોપીની ઉઘરાણી બંધ થઈ ન હતી અને તે સતત વેપારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.
દુકાનમાં મારામારી અને અપહરણનો પ્રયાસ
વ્યાજખોરની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે વેપારીની દુકાનમાં જઈને જાહેરમાં મારામારી કરી હતી. એટલું જ નહીં, એક પ્રસંગે વેપારીનું જબરદસ્તી કારમાં અપહરણ કરી તેમને નિર્જન સ્થળે લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીએ વેપારીના પરિવાર માટે પણ અત્યંત અપમાનજનક ભાષાનો પ્રયોગ કરી માનસિક ત્રાસ આપ્યો હતો.
વેપારીનું સ્ટિંગ ઓપરેશન અને પોલીસ કાર્યવાહી
વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારી દિલીપકુમારે પોતાની દુકાનમાં છૂપો કેમેરો લગાવીને આ સમગ્ર દાદાગીરીનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. આ પુરાવાઓ સાથે તેમણે ભરૂચના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

