VIDEO: Bharuch / મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદન સામે ભાજપના આક્રમક તેવર; કાળા માસ્ક પહેરી મૌન ધરણા પ્રદર્શન કર્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ અને રાજ્યના નેતૃત્વ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનથી ભાજપમાં રોષની લાગણી ફેલાઈ છે. આ નિવેદનના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના ઐતિહાસિક પાંચબત્તી વિસ્તારમાં મૌન ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનોએ કાળા માસ્ક પહેરી અને વિરોધ દર્શાવતા બેનરો સાથે કોંગ્રેસની માનસિકતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ કાળા માસ્ક પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપનો આરોપ છે કે, ખડગેએ કેરળમાં એક ચૂંટણી સભા દરમિયાન ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહીને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આ ઉપરાંત, અન્ય રાજ્યોમાંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી લાવવાના તેમના નિવેદનને પણ ભાજપે ગુજરાતના વિકાસ પ્રત્યેની કોંગ્રેસની નફરત ગણાવી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, "મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત સમગ્ર ગુજરાતના જનમાનસને ઠેસ પહોંચાડી છે. ગુજરાત આજે સુરક્ષિત અને વિકાસશીલ રાજ્ય હોવાથી વિશ્વભરના ઉદ્યોગો અહીં રોકાણ કરવા આતુર છે, પરંતુ કોંગ્રેસને આ વિકાસ ખૂંચી રહ્યો છે." આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર અને જિલ્લા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો કાળા માસ્ક અને વિરોધ દર્શાવતા બેનરો સાથે જોડાયા હતા.

