સુરેન્દ્રનગરમાં ઐતિહાસિક 'ગૌવંદના યાત્રા': 10 એકરમાં બનેલી અત્યાધુનિક શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન, જુઓ VIDEO
VIDEO: ઝાલવાડની ધરા પર આજે ગૌભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના કોઠારિયાથી વડવાળા મંદિર સુધી ભવ્ય 'ગૌ વંદના યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત માલધારી રબારી સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયો હતો અને ગૌમાતાના પૂજન-અર્ચન સાથે આસ્થા વ્યક્ત કરી હતી.
શીતલ ગાયની યાદમાં 10 એકરમાં ગૌધામ
મહંત કનિરામ બાપુને અત્યંત પ્રિય એવી 'શીતલ ગાય'ની સ્મૃતિમાં 10 એકર જમીન પર વિશાળ 'શીતલ ગૌશાળા'નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. આ ગૌશાળામાં અત્યાધુનિક સુવિધાઓ સાથે હાલ 650થી વધુ ગાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૌસેવાના આ ભગીરથ કાર્યને પંથકના લોકોએ વધાવી લીધું છે.
15 કિમીની ભવ્ય પદયાત્રા
સુરેન્દ્રનગરના ઇતિહાસમાં પ્રથમ વખત 15 કિમી લાંબી 'ગૌ વંદના યાત્રા' યોજવામાં આવી હતી. કોઠારિયાથી શરૂ થયેલી આ યાત્રા વડવાળા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. રસ્તામાં ઠેર-ઠેર ગૌ ભક્તોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ આયોજન પાછળ ગૌસેવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. સમગ્ર માલધારી સમાજ અને ભક્તોમાં આ પ્રસંગે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

