અમીરગઢમાં શિક્ષણના નામે ક્રૂર મજાક: ગાત્રો થીજવતી ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી પસાર થવા બાળકો મજબૂર!

Banaskantha news: અમીરગઢ તાલુકાના કાકવાડા શાળામાં આવતા વિધાર્થીઓ કડકતી ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે આ સાથે રાજકીય કાવાદાવાઓ અને તંત્રના પોકળ વાયદાઓ સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વાલીઓએ રામધૂન કરી વિરોધ નોંધાવ્યો.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીરગઢના કાકવાડામાં બનાસ નદી પર પુલ બનાવવાની માંગ ઘણા વર્ષોથી ચાલી રહી છે અને ભોળા લોકોને પોતાનો રાજકીય રોટલો શેકવા માટે પદાધિકારીઓ વર્ષોથી પુલ બની જશે અથવા પુલની મંજૂર આવી જશેના પોકળ વાયદાઓ કરી રહ્યા છે તેની સામે બનાસ નદીના બીજા છેડેથી કાકવાડા ગમે શાળામાં આવતા બાળકો વેદના સેવી રહ્યા છે.
વરસાદના સમયે નદીમાં પાણી આવે એટલે વાલીઓ પોતાના ખભે ઉચકી પોતાના બાળકોને જીવના જોખમે ભણવા માટે મજબૂર બનતા હોય છે જ્યારે શિયાળામાં નદીના ઠંડા પાણીમાં નાના ભૂલકાંઓને પ્રવેશ કરી અભ્યાસ અર્થે આવવું પડે છે. જેમાં બાળકો બીમાર થાય તેવો ભય વાલીઓને સતાવી રહ્યો છે કાકવાડા પાસેથી પસાર થતી બનાસનદીના બીજા છેડે નાનામોટા છથી સાત ગામડાઓ આવેલ છે જેઓને વરસાદ અને શિયાળામાં નદીમાંથી પસાર થવું મુશ્કેલ બને છે. જ્યારે પણ નદીમાં પાણી આવે અને નાના બાળકો પાણીમાંથી જીવન જોખમે અભ્યાસ માટે આવી રહ્યા છેના અહેવાલો સમાચારપત્રોમાં પ્રસિધ્ધ થાય એટલે રાજકીય નેતાઓ દોડી આવે છે અને પુલ બનાવવાના પોકળ વાયદાઓ આપે છે
આ ઘટનાક્રમ છેલ્લા વીસેક વર્ષોથી ચાલી રહ્યો છે વરસાદમાં કષ્ટ સહન કર્યું પણ હવે શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીમાં પણ આજ સમસ્યા છે તેમાં પણ બાળકો ઠંડા પાણીમાંથી પસાર થઈ શાળામાં આવી રહ્યા છે તો શું. અભ્યાસ માટે વધુ ભાર મૂકનાર સરકારને આ વિધાર્થીઓની વેદના દેખાતી નથી કે પછી અનદેખી કરવામાં આવે છે. શું લોકો ચૂંટણીની બહિષ્કાર કરશે ત્યારેજ તંત્ર જાગશે આવા અનેક પ્રશ્નો વાલીઓ કરી રહ્યા છે. અંતે તંત્રથી ત્રાસી ગયેલ વાલીઓએ ભેગા થઈ નદીકિનારે રામધૂન કરી તંત્રને જગાડવાના પ્રયાસો કર્યા હતા.

