Anand news: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકેલા ટેન્કરને માલિકની રજૂઆતો બાદ 2 દિવસ બાદ તંત્ર નીચે ઉતારશે

Anand news: વડોદરા જિલ્લાના પાદરામાં ગત નવમી જુલાઈએ ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી જતા દુર્ઘટનામાં 20 લોકોનાં મોત થા હતા. પરંતુ તે બાદ ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કર ઉપર આજે પણ સૌ કોઈની નજર છે. કારણ કે, આ ટેન્કરની તસ્વીર આજે પણ ઘટનાની યાદો તાજી કરે છે. બ્રિજ પર જોખમી રીતે લટકી રહેલી ટેન્કર જોઈને સૌનાં રૂંવાડા ઉભા થઇ જાય છે. ટેન્કર માલિકની અનેક રજૂઆતો છતાં ટેન્કર નીચે ઉતારવા વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળતા હતા.
છેવટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કરને નીચે ઉતારવાની જવાબદારી આણંદ વહીવટી તંત્રને સોંપી છે. જેથી ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આજે 21 દિવસ પછી ટેન્કરને નીચે ઉતારવા ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બે દિવસ બાદ ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ગંભીરા બ્રિજ ખાતે મરિન્સ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમે મુલાકાત લઈને ટેલરની નીચે કઈ રીતે ઉતારવો તેની વ્યૂહરચના અંગે તપાસ કરી હતી. આ આખા મામલામાં સીએમ દ્વારા આદેશ આપવામાં આવતા આખરે તંત્રએ પુલ પરથી ટેલરને નીચે ઉતારવાની કાર્યવાહીનો પ્રારંભ શરૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુજપુર-ગંભીરા બ્રિજ પર દુર્ઘટનાના 21 દિવસે પણ લટકી રહેલું ટેન્કર શિવમ્ રોડલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર સ્થિત શિવમ્ રોડલાઇન્સ આશરે 12 વર્ષ જૂની કંપની છે. આજે પણ આ ટેન્કર બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહ્યો છે. આ અંગે શિવમ રોડલાઈન્સના માલિક રામાશંકર ઈન્દ્રબહાદુર પાલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, અમે છેલ્લા 20 દિવસથી ટેન્કરને બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાધા બાદ આખરે મુખ્યમંત્રીનો સંપર્ક સાધ્યો હતો.

