Amreli news: ખેતરમાં તાર ફેન્સિંગથી વીજશોક લાગતા સિંહણનું મોત, વન વિભાગે 2 લોકોને ઝડપ્યા

Amreli news: અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમમાં એક સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. નાના કણકોટ ગામે એક માદા સિંહણનો મૃતદેહ મળી આવતાં વન વિભાગ હરકતમાં આવ્યું હતું. સમગ્ર મામલે વનવિભાગ અને અમરેલી LCB સહિતની અલગ-અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર મામલે વનવિભાગે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ખેતર ફરતે રાખેલા વીજશોકના કારણે સિંહણનું મોત
મળતી માહિતી મુજબ, અમરેલીના લીલિયાના કણકોટ ગામમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ-વન વિભાગે આંબા ગામના જયરાજ બોરીચા અને સરદાર બગેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખેતર ફરતે રાખેલા વીજશોકના કારણે સિંહણનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?
લાયન નેચર ફાઉન્ડેશનના તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે, લીલિયા તાલુકાના કણકોટ ગામની હદમાં આવેલા સીમતળ વિસ્તારમાં એક સિંહણનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, આ મૃત્યુ શોર્ટ સર્કિટના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તારમાં દેવભૂમિ દેવળિયા, ચક્કરગઢ, કણકોટ, ગોખરવાડા, નાના ગોખરવાડા અને સાનગઢ સહિતના વિસ્તારોમાં 29થી વધુ સિંહોનો વસવાટ છે. નાના કણકોટ ગામેથી મળી આવેલ માદા સિંહણનું મોત શંકાસ્પદ હોવાથી વન વિભાગ અને પોલીસની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

