Indian Railways: દિવાળીના તહેવારોને પગલે ભારે ભીડ રહેતા અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ વેચાણ બંધ

Indian Railways: દિવાળી તેમજ છઠ્ઠ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પરથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિયમ 16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2025 સુધી વ્યવસ્થા અમલામાં રહેશે.આગામી દિવાળી અને છઠ્ઠ પર્વના અવસર પર મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને સાબરમતી
રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સુચારૂ અવરજવર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલ તાત્કાલિક અને આયોજનબદ્ધ પગલું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની યાત્રાને વધુ સુરક્ષિત અને સુખદ બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન મુસાફરો અને નાગરિકોને વિનંતી કરે છે કે આ સમયગાળા દરમિયાન અનાવશ્યક ભીડથી બચે અને સ્ટેશન પર માત્ર યાત્રા સંબંધિત કાર્યો માટે જ ઉપસ્થિત રહે, જેથી સૌ માટે સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા વાતાવરણ સુનિશ્ચિત કરી શકાય.

