Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Another farmer swallowed poisonous pills out of concern about crop failure: Incident in Malvan village of Amreli

Amreli News Today: પાક નિષ્ફળ જવાની ચિંતામાં વધુ એક ખેડૂતે ગળ્યા ઝેરી ટીકડા: અમરેલીના માલવણ ગામની ઘટના

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Amreli News Today: પાક નિષ્ફળ જવાની ચિંતામાં વધુ એક ખેડૂતે ગળ્યા ઝેરી ટીકડા: અમરેલીના માલવણ ગામની ઘટના
સોર્સ : GSTV

Amreli News Today: ખેતીમાં રાત-દિવસ લોહીનું પાણી કરવા છતાં જ્યારે કુદરત રૂઠે છે, ત્યારે ખેડૂત ભાંગી પડે છે. આવી જ એક કરુણ ઘટના અમરેલી તાલુકાના માલવણ ગામમાં બની છે. અહીં એક યુવા ખેડૂતે મગફળીમાં ઓછો ઉતારો અને ઘઉંનો પાક ફેલ જવાની ચિંતામાં ઝેરી દવાના ટીકડા ગળી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

મહેનત એળે ગઈ: મગફળી બાદ ઘઉંએ પણ દગો દીધો
પ્રાપ્ત વિગતો અનુસાર, માલવણ ગામમાં રહેતા અને ખેતી તેમજ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વનરાજભાઈ નાજાભાઇ છૈયા (ઉંમર વર્ષ 37) એ આ અંતિમ પગલું ભર્યું છે. વનરાજભાઈએ ચાલુ વર્ષે મોટી આશા સાથે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં ધાર્યા મુજબ ઉતારો આવ્યો નહોતો. મગફળીમાં થયેલ નુકસાન બાદ તેમણે ઘઉંના પાક પર આશા ટકાવી હતી, પરંતુ કમનસીબે ઘઉંનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.
 
ખેતરમાં જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
પાક નિષ્ફળ જવાની સતત ચિંતામાં ડૂબેલા વનરાજભાઈએ ગત રોજ માલવણ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈને ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ઝેરી અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેમની તબિયતમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. 37 વર્ષના યુવાનના નિધનથી માલવણ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પોલીસ તપાસ ચાલુ
આ બનાવ અંગે મૃતકના ભાઈ વિક્રમભાઈ નાજાભાઇ છૈયાએ અમરેલી તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખેતીમાં દેવું અને પાક નિષ્ફળ જવાની સમસ્યાએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો હોવાની ચર્ચા પંથકમાં થઈ રહી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.