VIDEO: દશેરા માટે રાવણના પૂતળા બનાવવાની કામગીરી અમદાવાદમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા પૂરજોશમાં
VIDEO: દશેરા એટલે કે વિજયા દશમીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાવણના પૂતળા બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.. યુપી થી આવેલા કારીગરો અમદાવાદમાં દશાનંદના પૂતળા નું નિર્માણ કરી રહ્યા છે.
અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક એવા દશેરાનું પર્વ
વર્ષોથી રાવણ દહન કરવામાં આવે છે.દશેરા માટે અમદાવાદમાં રાવણ તૈયાર થઈ રહ્યા છે. રામોલ વિસ્તારમાં થાનવાડી પાસે વર્ષોથી આગ્રાથી આવેલા કારીગરો રાવણ બનાવે છે. અમદાવાદમાં દર વર્ષે દશેરાના એક-બે માસ પહેલાથી કારીગરો શહેરમાં આવી જાય છે અને ગુજરાતના જામનગર, રાજકોટ, આણંદ, નડિયાદ, વડોદરા સહિતના શહેરો માટેના પૂતળા તૈયાર કરવામાં લાગી જાય છે.
રાવણનું પૂતળું બનાવતા મોટા ભાગના કારીગરો મુસ્લિમ છે. આ પરિવાર પેઢી દર પેઢી આજ કાર્ય કરે છે. દશેરા માટે પૂતળા તૈયાર કર્યા બાદ બાકીના મહીનાઓમાં તેઓ માદરે વતન એટલેકે યુપીના વિવિધ ગામોમાં ઘોડાગાડી ચલાવી, મંડપ બાંધવા જેવા વિવિધ કામો કરી રોજી-રોટી મેળવતા હોય છે.
ઉત્તરપ્રદેશના કારીગરો વર્ષોથી રાવણના પૂતળા બનાવાનુ કાર્ય કરતા હોવાથી રાવણ બનાવામાં યુપીના કારીગરોનું પ્રભુત્વ થઇ ગયું છે. રાવણના પૂતળા બનાવી તેઓ સારી એવી કમાણી કરી લે છે.
અમદાવાદમાં નાગરવેલ હનુમાન, ભાડજ મંદિર, ઇસ્કોન મંદિર, ખોખરા, કર્ણાવતી ક્લબ, સાબરમતી ખાતે રાવણ દહન યોજાશે. નાગરવેલ હનુમાન ખાતે 51 ફૂટ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવશે. મદ્રાસી મંદિર ખોખરા પાસે ૪૫ ફૂટ, કર્ણાવતી ક્લબ 40 ફૂટ, ભાડજમાં 4૦ ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. 10 ફૂટથી લઈને 51 ફૂટ સુધીના રાવણ પૂતળા તૈયાર કરવામાં આવે છે. ૩૫ કારીગરો કામગીરી કરી ઓર્ડર પૂરા કરી રહ્યા છે.

