VIDEO: ચાંદખેડા 'ડેથ મિસ્ટ્રી'! 2 બાળકીઓનાં મોતના કેસમાં વિસેરા રિપોર્ટ જાહેર, હવે ડૉક્ટરોના અંતિમ અભિપ્રાય પર નજર
VIDEO: અમદાવાદન શહેરના ચાંદખેડા વિસ્તારમાં અઢી મહિનાની બાળકી રાહા અને 3 વર્ષની મિષ્ટીના રહસ્યમય સંજોગોમાં થયેલા મોતને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પોલીસ અને તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી. આ તપાસના ભાગરૂપે લેવામાં આવેલા વિસેરા સેમ્પલનો FSL રિપોર્ટ હવે સામે આવ્યો છે.
રિપોર્ટની સ્થિતિ અને આગળની કાર્યવાહી
પોસ્ટમોર્ટમ (PM) દરમિયાન બંને બાળકીઓના શરીરના અંગોના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓનો રિપોર્ટ તૈયાર થયા બાદ તે તપાસ અધિકારીઓ દ્વારા પેનલ ડોક્ટરોને સોંપવામાં આવ્યો છે. આ એ જ ડોક્ટરો છે જેમણે બાળકીઓનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. હવે આ ડૉક્ટરો FSL રિપોર્ટનો અભ્યાસ કરશે અને ત્યારબાદ જ 'ફાઇનલ કોઝ ઑફ ડેથ' (મૃત્યુનું અંતિમ કારણ) જાહેર કરવામાં આવશે.
પોલીસ તપાસનો દોર
અમદાવાદ એલ-ડિવિઝનના ACP ડી.વી. રાણાના જણાવ્યા અનુસાર, પોલીસ આ મામલે અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. મેડિકલ રિપોર્ટમાં જો કોઈ શંકાસ્પદ તત્વો અથવા ઝેરી પદાર્થની હાજરી જણાશે, તો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવશે. ડોક્ટરોનો અંતિમ અભિપ્રાય આવ્યા બાદ જ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શું હતી ઘટના?
ચાંદખેડામાં એક જ પરિવારની બે સગી બહેનોના ટૂંકા ગાળામાં મોત થતા અનેક સવાલો ઉભા થયા હતા. આ ઘટનામાં કુદરતી મોત છે કે કોઈ અઘટિત કૃત્ય, તે જાણવા માટે આધુનિક ટેક્નોલૉજી અને ફોરેન્સિક તપાસનો સહારો લેવામાં આવ્યો છે. સમગ્ર મામલાનો વીડિયો અને વિગતો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી, જેના કારણે લોકોમાં ન્યાયની માંગ પ્રબળ બની છે.

