VIDEO: સાતમ-આઠમે પણ મેઘરાજા નહીં વરસે, ગુજરાતમાં હજુ 10 દિવસ મેઘમહેરની શક્યતા નહિવત્
ગુજરાતમાં સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેતું હોય છે. ત્યારે ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા સુકાઈ રહેલા પાકને પાણી પીવડાવી ફરી જીવંત કરશે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ હતી. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હજી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત્ છે. જેથી કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરના કેટલાક તાલુકામાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે.
સાતમ-આઠમના તહેવારો સમયે આમ તો ભારે વરસાદ વરસતો હોય છે. પરંતુ આ વર્ષે જન્માષ્ટમીમાં પણ વરસાદની કોઈ શક્યતા દર્શાવાઈ નથી. માત્ર એક-બે દિવસ નહીં, હવામાન વિભાગની આગાહી મુજબ હજી દસેક દિવસ રાજ્યમાં સારો વરસાદ વરસે તેવા કોઈ એંધાણ નથી. આ દરમિયાન અમુક જગ્યાએ ફક્ત છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. બીજી બાજુ તાપમાન વધી રહ્યું છે.
અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જે સામાન્ય કરતા 1.8 કરતા ડિગ્રી વધારે હતું. શ્રાવણ પૂરો થશે ત્યાં સુધી વરસાદનો વરતારો નથી. જ્યારે 12 તારીખથી ભાદરવો બેસી જશે. ભાદરવો તપે અને કણબી ખપે, તે કહેવત યથાર્થ થતી દેખાય છે. વરસાદ ખેંચાતા પહેલેથી જ પાક સુકાવા માંડ્યો છે.
તેવામાં આગામી દિવસોમાં તાપ વધશે ત્યારે પાકનું શું થશે? તે વિચારી ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કે ભાદરવામાં આકરા તડકા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ વરસતો હોવાની પણ માન્યતા છે. ત્યારે હવે ચોમાસાના આ છેલ્લાં દિવસો પર ખેડૂતોનું આખું વર્ષ, મોંઘવારી અને બજારમાં ખાદ્ય પદાર્થોના ભાવ કેવા રહેશે? તે નિર્ભર કરે છે.

