Ahmedabad / લાપતા 30 બાળકો હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બન્યાની આશંકા, ક્રાઇમ બ્રાન્ચે માહિતી આપનાર માટે ઇનામ જાહેર કર્યું

અમદાવાદ ક્રાઇમબ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ 30 જેટલા સગીર બાળકો લાપતા થયા અંગેની તપાસ કરી રહી છે. ત્રણ વર્ષથી 15 વર્ષ સુધીની વય સગીરોની માહિતી કે તે અનુસંધાનમાં કોઇ કડી આપનારાઓ માટે પોલીસ દ્વારા રૂપિયા 10 હજારના ઇનામની જાહેર કરવામાં આવી છે. આ તમામ બાળકો સાથે હ્યુમન ટ્રાફિકીંગ થયાની શક્યતા છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ સમયે ત્રણ વર્ષથી 15 વર્ષની ઉમરના બાળકો લાપત્તા થયા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે અંગે ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ટીમને કાર્યરત કરી છે. પરંતુ, આ બાળકો અંગે કોઇ ચોક્કસ કડી ન મળી નથી. ત્યારે લાપત્તા બાળકોની માહિતી આપનાર માટે રૂપિયા ૧૦ હજારની ઇનામની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ પોલીસને આશંકા છે કે લાપતા બાળકો પૈકી અનેક બાળકો હ્યુમન ટ્રાફિકીંગનો શિકાર થયાની શક્યતા છે. 10 ઉલ્લેખનીય છે અમદાવાદમાંથી થોડા વર્ષ પહેલા લાપત્તા થયેલી જલ્ધી નામની સગીરાના કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ હતી. જો કે તે કેસમાં પણ કોઇ કડી મળી નથી. આ ઉપરાંત, સેટેલાઇટ મીરા મંગલ એપાર્ટમેન્ટમાંથી 13 વર્ષ પહેલા રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલી વિશ્વા પટેલની અંગે પણ પોલીસ ભાળ મેળવી શકી નથી.
બીજી તરફ સરકારી નિયમ મુજબ કોઇ વ્યક્તિની ભાળ સાત વર્ષથી સુધી ભાળ ન મળે તો તેને મૃત જાહેર કરવામાં આવે છે. તેવા સંજોગોમાં સાત વર્ષ પહેલા લાપત્તા થયેલા બાળકોની તપાસ પોલીસે સત્તાવાર રીતે બંધ કરી છે. આ અંગે સર્ચ માય ચાઇલ્ડના સંજય જોષીએ જણાવ્યું કે અમદાવાદ સહિત રાજ્યમાંથી ૫૦૦થી વધારે સગીર બાળકોની કડી મળી નથી. ત્યારે ગુજરાત પોલીસે અન્ય જિલ્લાઓમાં શા માટે બાળકોની કડી આપનારને ઇનામ જાહેર નથી કરતી? કે તપાસ રિપોર્ટ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરતી ? તે મોટો પ્રશ્ન છે.

