Ahmedabad / મલાલાના પુસ્તક વાંચન વિવાદમાં હુમલો, વસ્ત્રાપુર પોલીસે ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બોપલમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં પાકિસ્તાની મલાલા યુસુફના પુસ્તકનું વાંચન કરાવવા વિવાદ બાદ વધુ એક ઘટના બની હતી. જેમાં બજરંગ દળના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે કોક્રોચ જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા મલાલાના પુસ્તકનું વાંચન શરૂ કરાવવાના કામ માટે એકઠા થયા હતા. જો કે વસ્ત્રાપુર પોલીસે નોંધેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે સોશિયલ મિડીયા દ્વારા ચાલતા વાંચનના પ્રોજેક્ટ હેઠળ યુવાનો એકઠા થયા હતા. બજરંગ દળના કાર્યકરોના હુમલામાં એક યુવતીને પણ ઇજા પહોચી હતી.
બોપલમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં પાકિસ્તાની મલાલા યુસુફના પુસ્તકનું વાંચન કરાવવાનો મામલો સામે આવતા મોટો વિવાદ થયો હતો. ત્યારબાદ સ્કૂલમાં આ પુસ્તકનું વાંચન ન કરાવવા માટેનું નક્કી કરાયું હતું. એટલું જ ગુજરાતની અન્ય સ્કૂલમાં પણ આ પુસ્તકને હટાવી દેવામાં આવ્યું હતું. ત્યારે ગુરૃવારે બજરંગ દળના કાર્યકરોએ બાતમીના આધારે વસ્ત્રાપુર ઔડા ગાર્ડન પર પહોંચીને મલાલા યુસુફના પુસ્તકના વાંચનને સમર્થન આપનારા કોક્રોચ જનતા પાર્ટીના કેટલાંક કાર્યકરો અને કોંગ્રેસના પાર્થિવસિંહ કાઢવાડિયા અને અન્ય કાર્યકરો સાથે તકરાર કરતા ઘર્ષણની ઘટના બની હતી. જો કે વસ્ત્રાપુર પોલીસે નોંધેલી ફરિયાદમાં ગાર્ડનમાં કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નહી પણ સોશિયલ મિડીયા દ્વારા એકઠા થઇને વાંચનની પ્રવૃતિને પ્રોત્સાહન આપતા લોકો એકઠા થયાનો ઉલ્લેખ છે.
સેટેલાઇટમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં રહેતા જય ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં ગળામાં ભગવા દુપટ્ટા લગાવીને લાકડીઓ સાથે આવેલા ૨૦ જેટલા લોકો આવ્યા હતા. જેમના આગેવાન તરીકે હિરેન રબારી નામનો યુવક હતો. તેમણે મલાલા યુસુફનું પુસ્તક કેમ વાંચો છો તેમ કહીને માર્યો હતો. જેમાં સ્વાતી ગોસ્વામી અને મૈત્રી છાયા નામની યુવતીને ઇજાઓ પહોંચી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

