Ahmedabad news: પતિની વિકૃત માંગણીઓથી કંટાળી પરિણીતાએ રિવરફ્રન્ટ પર જીવન ટૂંકાવવા કર્યો પ્રયાસ

Ahmedabad news: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર તાજેતરમાં એક એવી ઘટના બની છે જેણે પતિ-પત્નીના પવિત્ર સંબંધો પર સવાલો ઊભા કર્યા છે. એક ઉચ્ચ શિક્ષિત મહિલાએ તેના પતિની અસહ્ય વિકૃતિ અને માનસિક ત્રાસથી કંટાળીને સાબરમતી નદીમાં કૂદી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, 181 અભયમ્ હેલ્પલાઈનની સમયસૂચકતા અને સચોટ કાઉન્સિલિંગના કારણે એક મોટી હોનારત ટળી છે.
10 વર્ષના લગ્ન જીવનમાં વિકૃતિનો પ્રવેશ
પીડિત મહિલાએ 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ મેડિકલ તપાસમાં પતિ પિતા બનવા અક્ષમ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ ડૉક્ટરી સલાહથી તેમને અત્યારે પાંચ વર્ષનો પુત્ર છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પતિએ પોતાની પત્ની પાસે અઘટિત માંગણીઓ શરૂ કરી. પતિની વિકૃતિ એટલી હદ વટાવી ગઈ હતી કે તે પોતાની પત્નીને અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધતા જોઈને ખુશી અનુભવવા માંગતો હતો. તેણે પત્ની પર પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું અને ટ્રાવેલિંગ દરમિયાન અન્ય લોકો તેની છેડતી કરે તેવું વર્ણન સાંભળવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
જીમ ટીચર અને ફોટા વાયરલ કરવાની ધમકી
પતિના આ ત્રાસથી કંટાળી મહિલા જ્યારે આપઘાત કરવા પહોંચી, ત્યારે તેના જીમ ટીચર સાથેના પ્રેમ સંબંધે નવી મુશ્કેલી ઉભી કરી. જીમ ટીચરે પહેલા તો સપોર્ટ આપ્યો, પરંતુ બાદમાં તે પણ મહિલાને જૂની ઘટનાઓ યાદ અપાવી માનસિક ટોર્ચર કરવા લાગ્યો. જ્યારે મહિલાએ 181ની મદદ લીધી, ત્યારે આ મિત્રએ તેમના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. અભયમની ટીમે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરીને તે વ્યક્તિ પાસે ફોટા ડિલીટ કરાવી અને ફરી હેરાન ન કરવાની લેખિત બાંયધરી લેવડાવી હતી.
કાઉન્સિલિંગની તાતી જરૂરિયાત
અભયમની ટીમે સમગ્ર મામલાની તપાસ બાદ જણાવ્યું કે, મહિલાના પતિની આ વર્તણૂક ગંભીર માનસિક બીમારીના લક્ષણો છે. નિષ્ણાતોએ પતિનું સાયકિયાટ્રિક કાઉન્સિલિંગ કરાવવાની સલાહ આપી છે. હાલમાં મહિલાને સુરક્ષિત સ્થાને ખસેડીને તેને કાયદાકીય અને માનસિક રીતે મજબૂત બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

