અમદાવાદના મણિનગરમાં 108ની ઘોર બેદરકારી: રેલવે કર્મચારીને કચડી પાયલોટ ફરાર, અકસ્માતના દિલધડક CCTV વાયરલ
VIDEO: અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં લોકોનો જીવ બચાવતી 108 એમ્બ્યુલન્સની ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે. મણિનગરના વ્યસ્ત એવા ઈડલી ચાર રસ્તા પાસે 108 એમ્બ્યુલન્સે એક રાહદારીને જોરદાર ટક્કર મારી હિટ એન્ડ રન કર્યાનો આરોપ લાગ્યો છે. આ અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત 17 માર્ચ 2025ના રોજ સર્જાયો હતો. એક રાહદારી રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ રોડ પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરે રાહદારીને ટક્કર મારી હતી અને તેમને કચડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લોકોએ બુમાબૂમ કરી હોવા છતાં ડ્રાઈવરે એમ્બ્યુલન્સ ઉભી રાખી નહોતી.
ભોગ બનનારની હાલત ગંભીર
આ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ રેલવે કર્મચારી હોવાનું ખુલ્યું છે. ટક્કર એટલી ભયાનક હતી કે વ્યક્તિએ પોતાનો એક હાથ ગુમાવવો પડ્યો છે અને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં પરિવાર અને સ્થાનિકો દ્વારા જવાબદાર ડ્રાઈવર સામે આકરા પગલાં ભરવાની અને ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી રહી છે.

