વણવપરાયેલી પડી રહી વૃદ્ધ પેન્શન યોજનાની 26.94 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, માત્ર આટલા લાખનો કરાયો ખર્ચ

બાંધકામ વિસ્તારના કામદારો પ્રત્યે સરકાર જાણે અસંવેદનશીલ બની રહી છે. વિવિધ યોજના અમલમાં હોવા છતાંય ગરીબ કામદારો લાભથી વંચિત રહ્યા છે. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, 60 વર્ષથી વધુ વય ધરાવતા કામદારોને 800 રૂપિયા પેન્શન આપવાનું નક્કી કરાયુ હતું. એટલુ જ નહીં, વર્ષ 2017થી માંડીને 2023 સુધી વૃદ્ધ પેન્શન યોજના માટે માત્ર 2.85 લાખનો ખર્ચ કરાયો હતો, જ્યારે 26.97 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વણવપરાયેલી પડી રહી હતી.
ગુજરાતમાં માત્ર 1.57 લાખ બાંધકામ કામકારો નોંધાયેલા
બાંધકામ ક્ષેત્રના કામદાર તરીકે નોંધણી કરાવવી હોય તો કોન્ટ્રાક્ટર પાસેથી વર્ષમાં ઓછામાં ઓછુ 90 દિવસ કામ કર્યુ હોય તો પ્રમાણપત્ર મળી શકે છે. રાજ્યમાં અંદાજે 15 લાખથી વધુ કામદારો છે, જે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. કોરોના વખતે કામદારોની નોંધણી અને સરવે કરવા મુખ્યમંત્રીના વડપણ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી હતી તેમ છતાંય આ મુદ્દે નિષ્ક્રિયતા દાખવવામાં આવી હતી, જેના કારણે આજે ગુજરાતમાં માત્ર 1.57 લાખ બાંધકામ કામકારો નોંધાયેલા છે.
2022 સુધીમાં બાંધકામ કામદારો માટે 1,20,455 અરજીઓ કરવામાં આવી
ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી માટે કામદારોએ અરજી કરવી પડી છે. કેગના રિપોર્ટ મુજબ, 31 માર્ચ, 2022 સુધીમાં બાંધકામ કામદારો માટે 1,20,455 અરજીઓ કરવામાં આવી હતી. આ પૈકી 1.08 લાખ અરજીઓ મંજૂર કરાઈ હતી. અન્ય અરજીઓની ચકાસણી કરતાં એવું સામે આવ્યું કે, બાંધકામ ક્ષેત્રના કામદારોને મળતા લાભો મેળવવા માટે દરજી, ડ્રાઈવર, ફળ-શાકભાજી વેચનારા, સિક્યુરિટી ગાર્ડ, દુકાનદાર સહિત અન્ય વ્યવસાયકારોએ પણ ઈ નિર્માણ કાર્ડ મેળવી લીધુ હતું.
પેન્શન યોજના બંધ કરી દેવાઈ
બાંધકામ ક્ષેત્રના વૃદ્ધ કામદારોને પેન્શન આપવાનું નક્કી કરાયું હતું, જેમા એવા નિયમોની જોગવાઈ કરવામાં આવી છે કે, 60થી વધુ વય ધરાવતા હોય અને ત્રણ-પાંચ વર્ષ સુધી કામ કર્યુ હોય તેને 800 રૂપિયા પેન્શનનો લાભ મળશે. વર્ષ 2017થી માંડીને વર્ષ 2019 સુધીમાં માત્રને માત્ર 40 કામદારોને જ પેન્શન મળ્યું હતું. ત્યારબાદ આ પેન્શન યોજના જ બંધ કરી દેવાઈ હતી. જૂન-2017માં પેન્શન યોજનાના નિયમો ફેરફાર કરવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કરાયો હતો, જેને હજુ મંજૂરી નથી મળી. આમ, બાંધકામ ક્ષેત્રના ગરીબ કામદારો પ્રત્યે સરકાર જાણે દયાહીન બની રહી હતી.

