Ahmedabad: અપહરણ અને લૂંટના આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવવાનો કર્યો પ્રયાસ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ કર્યું ફાયરિંગ!

અમદાવાદના રામોલ વિસ્તારમાં અપહરણ અને લૂંટના કેસમાં મોટો વળાંક આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આરોપી સંગ્રામસિંહ સહિત છ આરોપીઓને કસ્ટડીમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે સંગ્રામસિંહે અચાનક પોલીસ અધિકારીની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો. આથી ગભરાટ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું, જેમાં સંગ્રામસિંહના પગ પર ગોળી વાગી ગઈ. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો અને હાલ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો સંગ્રામસિંહ અનેક ગુનાઓનો આરોપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી અને દારૂબંધીના કાયદા હેઠળ ઓછામાં ઓછા નવ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે ભૂતકાળમાં અનેક હત્યાઓ સાથે પણ સંકળાયેલો છે.
શું હતી ઘટના?
તાજેતરમાં વસ્ત્રાલમાં એક જમીન દલાલના અપહરણ અને ₹52 લાખની લૂંટના કેસમાં સિકરવારની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તેને કસ્ટડી ટ્રાન્સફર માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને સાથે રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
એક વરિષ્ઠ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે 'ઝપાઝપી દરમિયાન તેણે ટીમ પર ગોળીબાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં અધિકારીઓએ ગોળીબાર કર્યો, જેનાથી તે પગમાં ઘાયલ થયો. ગોળી વાગ્યા બાદ સિકરવારને તાત્કાલિક શહેરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેની હાલત ગંભીર નથી અને તે ખતરાની બહાર છે.'
પોલીસે હોસ્પિટલની આસપાસ સુરક્ષા સઘન બનાવી છે અને આ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત, વસ્ત્રાલ અપહરણ કેસની તપાસ પણ ચાલુ છે, જેમાં પીડિતના ભત્રીજા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

