Ahmedabadમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ખળભળાટ, ભાજપ સાથે આંતરિક ગોઠવણની ચર્ચાઓએ જોર પકડ્યું

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસની સ્થિતિ 'યુદ્ધ પહેલા જ હથિયાર હેઠા મૂકવા' જેવી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના એક પછી એક મજબૂત ગણાતા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. થલતેજ, સરખેજ અને ચાંદલોડિયા જેવા વોર્ડમાં કોંગ્રેસના ગાબડાંથી ભાજપને સીધો ફાયદો થયો છે.
થલતેજ વોર્ડમાં કોંગ્રેસની રણનીતિ પક્ષને જ ભારે પડી છે. છેલ્લી ઘડીએ નિકિતા વાઘેલાના સ્થાને રમીલાબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ રમીલાબેને અચાનક ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર રીટાબેન ઠાકોર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ ચર્ચા છે કે આ કોઈ આકસ્મિક ઘટના નથી પણ આંતરિક 'ગોઠવણ'નો ભાગ છે. પ્રજાના પ્રતિનિધિ બનતા પહેલા જ ઉમેદવાર 'વેચાયા' હોવાના આક્ષેપોથી કોંગ્રેસની છબી ખરડાઈ છે.
સૌથી વધુ ચોંકાવનારો કિસ્સો ચાંદલોડિયા વોર્ડમાં જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ શંકરભાઈ પટેલે માત્ર 24 કલાકમાં જ પલટી મારી છે. અગાઉ તેમણે ભાજપના કાર્યકરો ધમકાવતા હોવાની અને ઓફિસ પર ટોળા આવીને ફોર્મ પરત ખેંચવા દબાણ કરતા હોવાની ફરિયાદ કરી હતી. જોકે, આટલી રજૂઆતો છતાં અંતે તેમણે ઉમેદવારી પરત ખેંચી લેતા કોંગ્રેસના કાર્યકરોમાં હતાશા વ્યાપી ગઈ છે.
માત્ર થલતેજ કે ચાંદલોડિયા જ નહીં, સરખેજ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે પણ ઔડા ઓફિસ જઈ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. બીજી તરફ, કુબેરનગર વોર્ડ નંબર 14માં અપક્ષ ઉમેદવાર નારણભાઈએ પણ મેદાન છોડ્યું છે. અમદાવાદ મનપામાં કોંગ્રેસના આ ચોથા ઉમેદવારે પલટી મારતા હવે પક્ષમાં આંતરિક વિદ્રોહ અને અસંતોષની જ્વાળાઓ ઉઠી છે.
અમદાવાદ શહેરમાં આ બીજી એવી બેઠક છે જ્યાં કોંગ્રેસની પીછેહઠને કારણે ભાજપ બિનહરીફ થયું છે. તોડજોડની આ નીતિ અને ઉમેદવારોના એકાએક ફોર્મ પરત ખેંચાવાથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ સંગઠન પરથી પકડ ગુમાવી રહ્યું છે. મતદાન પહેલા જ ઉમેદવારોના આ પ્રકારે હથિયાર હેઠા મૂકવાથી આગામી પરિણામોમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

