Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Census 2027: Residents can ensure privacy by self-filling details on the digital portal

Ahmedabad: હવે ડિજિટલી થશે વસ્તી ગણતરી; ઘર-કુટુંબની વિગતો ગુપ્ત રાખવા માંગતા લોકો પોર્ટલ પર જાતે ભરી શકશે માહિતી, જાણો પ્રોસેસ

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: હવે ડિજિટલી થશે વસ્તી ગણતરી; ઘર-કુટુંબની વિગતો ગુપ્ત રાખવા માંગતા લોકો પોર્ટલ પર જાતે ભરી શકશે માહિતી, જાણો પ્રોસેસ
સોર્સ : GSTV

ભારતમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી પ્રક્રિયા થયા બાદ 16 વર્ષે હવે પ્રક્રિયા થઈ રહી છે. આ જનગણના 2027 અંતર્ગત પ્રથમ તબક્કામાં અમદાવાદ સહિત રાજ્યભરમાં 17મી મેથી ઘરયાદી કામગીરી એટલે કે ઘરની યાદી અને ઘર ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. જેમાં 17મીથી ડિજિટલ સ્વ ગણતરી થશે અને પહેલી જૂનથી નિમાયેલા ગણતરીદારો દ્વારા ડોર ટુ ડોર જઈને ઘરગણતરી પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદમાં ડોર ટુ ડોર પ્રક્રિયા માટે 11600થી વધુ ગણતરીદારો નિમાયા છે.

App Store

તમામ સુવિધાઓ અંગેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે

જનગણના-વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયા અંતર્ગત પ્રથમ તબક્કામાં ઘરયાદીની કામગીરી શરૂ થશે. જેમાં દરેક ઘર અને કુટુંબની ગણતરી કરવામાં આવશે અને ફેબ્રુઆરીમાં વસ્તી ગણતરી કરાશે. ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ (ડિરેક્ટર ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન) વિભાગ દ્વારા થઈ રહેલી આ કામગીરીમાં પ્રથમ તબક્કામાં 17મીથી ડિજિટલી સ્વ ગણતરી પ્રક્રિયા શરૂ થશે. જેમાં ઘર-કુટુંબના કોઈપણ એક વ્યક્તિના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઘરની તમામ સુવિધાઓ અંગેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

33 પ્રશ્નોની માહિતી કુટુંબના રજિસ્ટર્ડ વ્યક્તિએ આપવાની રહેશે

સ્વગણતરીના પોર્ટલમાં 33 જેટલા પ્રશ્નોની માહિતી કુટુંબનો રજિસ્ટર્ડ વ્યક્તિ આપી શકશે. પહેલી જૂનથી ડોર ટુ ડોર પ્રક્રિયા શરૂ થશે. જેમાં તંત્ર દ્વારા નિમાયેલા ગણતરીદારો ઘરે ઘરે જઈને માહિતી મેળવશે. જો કોઈ પણ કુટુંબ-વ્યક્તિ પોતાની માહિતી ગુપ્ત રાખવા માંગતા હોય તો 17મીથી શરૂ થતી ડિજિટલ સ્વ ગણતરીમાં પોતાના ઘરની તમામ માહિતી આપી શકે છે. આ ઓનલાઈન ભરેલી માહિતી બાદ જનરેટ થનારા કોડ-નંબરને માત્ર ડોર ટુ ડોર પ્રક્રિયા સમયે આવનાર ગણતરીદારને આપી દેવાનો રહેશે.

જો કોઈ વ્યક્તિ-કુટુંબ ડિજિટલી માહિતી ન ભરી શકતા હોય તો તેઓએ ડોર ટુ ડોર પ્રક્રિયા સમયે ગણતરીદારને આપવાની રહેશે. આ વખતની જનગણના પ્રક્રિયામાં ઘરગણતરીમાં કુલ ૩૩ પ્રશ્નો છે અને જેમાં માલિકી કે ભાડાનું ઘર, ઘરમાં પાણી, બાથરૂમ, ગેસ કનેક્શન, લેપટોપ, ઈન્ટરનેટ સહિતના પ્રશ્નો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્સસ ડિપાર્ટમેન્ટ દ્વારા થનારી આ ઘરયાદી કામગીરીમાં 11600 જેટલા ગણતરીદારો નિમાયા છે. જેમાં શિક્ષકો, અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓને ઓર્ડર કરાયા છે. 6થી 7 ગણતરીદારો પર એક સુપરવાઈઝર રહેશે અને સુપરવાઈઝર સહિત કુલ 17 હજારથી વધુ કર્મચારીઓ રહેશે.