Ahmedabad ગ્રામ્યમાં કાયદો-વ્યવસ્થા કથળી? સાણંદ-ધંધુકા બાદ હવે ચાંગોદરમાં હત્યાથી ફફડાટ

અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોમાં પોલીસનો ડર ન રહ્યો હોય તેમ એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે. અગાઉ સાણંદ, સાણંદ જીઆઇડીસી, વિવેકાનંદનગર, ધંધુકા બાદ હવે ચાંગોદરમાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે.
ચાંગોદર પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
સનાથલ ગામમાં રહેતો એક યુવક તેના મિત્રો સાથે લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ યુવકે પોતાની દુર પડેલી ગાડી સુધી લઈ જવા માટે એક વ્યક્તિને કહેતા તેણે ના પાડી હતી. જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આરોપીના ભાઇએ આ યુવકને ઝઘડાના સમાધાન માટે બોલાવીને ફરી બબાલ કરી હતી. જે દરમિયાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલે ચાંગોદર પોલીસે ગુનો નોંધી પિતા પુત્ર સહિત બે આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓએ યુવકને ઝઘડાના સમાધાન માટે બોલાવ્યો
પ્રાપ્ત માહિતી મુજબ સનાથલ ગામમાં રહેતો 31 વર્ષીય દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ચૌહાણ તેના મિત્ર દેવેન્દ્રસિંહ જાડેજા, કરણ ઠાકોર અને ગઢવી સાથે પોતાની સ્કોર્પિયો લઇને ગામમાં રહેતા સાહિલ ઠાકોરની જાનમાં સાંતેજ ખાતે ગયા હતા. આ તમામ લોકો ગામની ભાગોળે ગાડી મુકીને ઠાકોરવાસમાં ગયા હતા. ત્યારે ગામનો ભરત ઠાકોર ઠાકોરવાસમાં બેઠો હોવાથી દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગાએ તેને ગામની ભાગોળે તેની ગાડી પાસે મૂકી જવાનું કહેતા ભરતે ના પાડી હતી. આ બાબતને લઇને ભરત અને દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગા વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. જે બાદ ભરતના ભાઇ ચેહરે આ દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગાને ફોન કરીને ઝઘડાના સમાધાન માટે બોલાવ્યો હતો.
યુવકને ઉપરાછપરી છરીના ઘા ઝીંક્યા
દેવેન્દ્રસિંહ તેના ત્રણ મિત્રો સાથે સનાથલ પરત આવ્યો હતો. તમામ લોકો ચેહરના ઠાકોરવાસ ખાતેના ઘરે ગયા ત્યારે ભરત અને ચેહર તથા બંનેની પત્ની અને પિતા બાબુભાઇ હાજર હતા. ચેહરના ઘરમાં ઝઘડાના સમાધાનની વાત ચાલી રહી હતી તે દરમિયાનમાં ફરી બબાલ થઇ હતી. ચેહર અને ભરતે ભેગા મળીને દેવેન્દ્રસિંહને નીચે પાડી દીધો હતો અને ચેહર તેના શરીર પર બેસી ગયો હતો. બાદમાં તેને છરીના અસંખ્ય ઘા માર્યા હતા. જ્યારે ભરતે પણ બાજુમાં બેસીને દેવેન્દ્રસિંહને છરીના ઘા માર્યા હતા. ભરત અને ચેહરની પત્ની તથા પિતા બાબુ ઠાકોરે માર માર્યો હતો. દેવેન્દ્રસિંહના મિત્રો વચ્ચે પડતા આરોપીઓએ છરીથી હુમલો કર્યો હતો. ગામના લોકો ભેગા થઇ જતા આ તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. બીજીબાજુ દેવેન્દ્રસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
ફરાર આરોપીઓને પકડી પાડવા તજવીજ
આ મામલે ચાંગોદર પોલીસને જાણ થતાં પોલીસે બાબુ ઠાકોર, તેના બે પુત્રો ભરત અને ચેહર તથા પુત્રવધુ સવિતા અને મુન્ની સામે હત્યાનો ગુનો નોંધી પિતા પુત્ર બાબુ અને ચેહરની ધરપકડ કરી છે. ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યુ કે પ્રાથમિક તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ મારામારીના ગુના નોંધાયા છે, જ્યારે મૃતક સામે પણ અગાઉ હત્યાનો ગુનો નોંધાયો હતો. ફરાર ભરત, તેની પત્ની તથા ભાભીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

