PM મોદીના સ્કૂલ ટાઈમના મિત્રની જમીન પર ભાજપ નેતાએ જ કબજો કર્યો, જાણો શું છે સમગ્ર મામલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર અને મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરાએ દાયકાઓ જૂના જમીન વિવાદમાં ન્યાય મેળવવા અને સીબીઆઈ (CBI) તપાસની માગણી સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વડનગરની બી. એન. હાઈસ્કૂલમાં વડાપ્રધાન સાથે અભ્યાસ કરી ચૂકેલા વોહરાએ ગત આઠમી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીને મળીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. પીએમ મોદી તરફથી સારો પ્રતિસાદ મળ્યા બાદ તેને ન્યાય મળવાની આશા પુનઃ જીવંત થઈ છે.
1989માં આશરે 2,810 ચોરસ મીટર જમીન ખરીદવામાં આવી
અહેવાલો અનુસાર, અસગરઅલી વોહરાએ વર્ષ 1989માં મુંબઈ નજીક ભાયંદર પૂર્વના નવઘર વિસ્તારમાં રજિસ્ટર્ડ કરાર દ્વારા આશરે 2,810 ચોરસ મીટર જમીન ખરીદી હતી. તેણે દાવો કર્યો છે કે, વર્ષ 2011માં સ્વયં બિલ્ડર્સ અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે આ જમીન પર કથિત રીતે ગેરકાયદે કબજો કરી લીધો હતો. મૂળ માલિકને અંધારામાં રાખીને બોગસ દસ્તાવેજોના આધારે જમીનને બે ભાગમાં વહેંચી બિલ્ડરો અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સની માલિકી દર્શાવવામાં આવી છે.
અસગરઅલી વોહરાએ આ સમગ્ર મામલે વર્ષ 2015માં ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી હતી અને હાલ આ કેસ કોર્ટમાં છે. અસગરઅલી વોહરા ત્યારથી સતત મહેસૂલ વિભાગ, સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ કંપની ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.
પીએમ મોદી સાથેની આ મુલાકાત બાદ સ્થાનિક મહાનગરપાલિકા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. વહીવટીતંત્રે આ બાબતની ગંભીર નોંધ લઈને 16મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી નિયત કરી છે અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સના પ્રતિનિધિઓ તથા સંબંધિત બિલ્ડરોને સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવા આદેશ આપ્યો છે.

