અમદાવાદમાં T20 WC ફાઈનલનો જંગ: મોટેરા સ્ટેડિયમની આસપાસ કયા રસ્તા બંધ રહેશે? જુઓ પોલીસની નવી ટ્રાફિક એડવાઈઝરી

T20 WC: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે (આઠમી માર્ચ) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની મહાફાઈનલને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ છે. 1 લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક VIP મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લેબંધી અને ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કયા રસ્તાઓ રહેશે બંધ?
મેચ દરમિયાન સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક રસ્તાઓ 'નો એન્ટ્રી' ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જનપથ ટી-જંક્શનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ થઈ કૃપા રેસિડન્સી અને ત્યાંથી મોટેરા ગામ સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે રવિવારે સવારે 10:00 વાગ્યાથી મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે
મુસાફરો માટે વૈકલ્પિક રૂટ
સ્ટેડિયમ તરફ જતા રસ્તા બંધ હોવાથી વાહનચાલકો તપોવન સર્કલ અને વિસત જંક્શનથી જનપથ થઈને પાવર હાઉસ તરફ જઈ શકાશે. પ્રબોધ રાવળ સર્કલથી કૃપા રેસિડન્સી થઈને ભાટ-કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.
સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા
ક્રાઉડ મેનેજમેન્ટ માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરાયું છે. ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે 800થી વધુ ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને જવાનો ખડેપગે રહેશે. સ્ટેડિયમની આસપાસ વિવિધ પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રેક્ષકોને હાલાકી ન પડે.

