દેવાયત ખાવડને મોટી રાહત: સાણંદ કોર્ટે છેતરપિંડીના કેસમાં લોક સાહિત્યકારને કર્યા નિર્દોષ જાહેર

Devayat Khawad: ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાની સાણંદ કોર્ટે ચાંગોદર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના એક કેસમાં દેવાયત ખાવડને નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ તેમના પ્રશંસકો અને સમર્થકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદ અમદાવાદના સનાથલ વિસ્તારમાં આયોજિત એક ડાયરા સાથે જોડાયેલો હતો. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દેવાયત ખાવડે ડાયરા માટે એડવાન્સ પેમેન્ટ અને ઓર્ડર લીધા હોવા છતાં તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. આ બાબતે ચાંગોદર પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ લાંબા સમયથી સાણંદ કોર્ટમાં ચાલી રહ્યો હતો.
સમાધાન અને કોર્ટનો ચુકાદો
કેસની સુનાવણી દરમિયાન અગાઉ બંને પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી સમાધાન થઈ ગયું હોવાની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને સમાધાનની વિગતોને ધ્યાને રાખીને સાણંદ કોર્ટે આજે પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો આપતા દેવાયત ખાવડને આ કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે દેવાયત ખાવડ છેલ્લા કેટલાક સમયથી વિવિધ કાયદાકીય વિવાદોમાં ઘેરાયેલા હતા, ત્યારે આ નિર્દોષ છૂટકારો તેમના માટે અને તેમની કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે.

