VIDEO: અમદાવાદ: મધુમતી આવાસમાં ચોમાસે પાણી ભરાતાં લોકો ટ્રેક્ટરના સહારાથી અવરજવર કરવા મજબૂર
અમદાવાદમાં ભારે વરસાદ બાદ મધુમતી આવાસ યોજનામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મધુમતી આવાસ યોજનાના રહેવાસીઓનું કહેવું છે કે, વર્ષોથી અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી અવરજવર માટે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદ પડે ત્યારે ગટર લાઇન બ્લોક થઈ જાય છે અને ગટરનું પાણી પણ બહાર આવી જાય છે. જેના કારણે આવાસના નીચેના મકાનોમાં ત્રણ-ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક રહેવાસીએ જણાવ્યું કે, તેઓ 14 વર્ષથી મધુમતી આવાસમાં રહે છે અને ત્યારથી વરસાદી પાણીની સમસ્યા સતત જોવા મળી રહી છે. વરસાદી પાણીની સાથે ગટરનું પાણી ઘરોમાં ઘૂસી જતાં સૌથી વધુ મુશ્કેલી નીચેના મકાનોમાં રહેતા લોકોને પડે છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં પરિવારજનોને ઘર છોડીને અન્ય સ્થળે જવાની નોબત આવે છે. પાણી ભરાવાના કારણે બાળકો સ્કૂલ જઈ શકતા નથી, જ્યારે નોકરી-ધંધા માટે બહાર જતાં લોકોને પણ મુશ્કેલી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો છતાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
હાલની સ્થિતિમાં મધુમતી આવાસમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સામાન્ય વાહનોની અવરજવર પણ મુશ્કેલ બની છે. જેના કારણે લોકોને ટ્રેક્ટરમાં બેસીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિકો તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલ અને ગટર વ્યવસ્થાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો ક્યારે અંત આવશે તેવો સવાલ પણ રહેવાસીઓમાં ઉઠી રહ્યો છે.

