Ahmedabad news: 4 મહિના બાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી ક્રૂઝ સેવા શરૂ, કેફે સેવાનો પણ લાભ મળશે

Ahmedabad news: વિપક્ષના હોબાળા અને ચાર મહિનાના વિરામ બાદ ફરી એકવાર સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી ક્રૂઝ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. ક્રૂઝની ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ વખતે પહેલીવાર જન્માષ્ટમીની ઉજવણી ક્રૂઝ પર થશે. જન્માષ્ટમીની પર્વ દરમ્યાન મટકી ફોડ કાર્યક્રમનું આયોજન રિવરફ્રન્ટ ક્રૂઝ પર કરવામાં આવ્યું છે. ક્રૂઝમાં રાત્રિના 11થી સવારે 4 વાગ્યા સુધી કૅફે સેવા શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં સાબરતમી રિવરફ્રન્ટ પર ક્રૂઝની સી-પ્લેન જેવી દશા થઈ હતી. પરંતુ હવે ક્રૂઝ સેવાના અચ્છે દિન આવ્યા છે. સાબરમતી નદીમાં મોટા ઉપાડે શરૂ કરાયેલી ક્રૂઝ સેવા છેલ્લાં ચાર મહિનાથી બંધ અવસ્થામાં હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી આ સેવા શરૂ કરવામાં આવી છે. ક્રૂઝ સેવામાં લોકોનો બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
આ વખતે સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ સેવામાં બીજા અવનવા આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં રાત્રિના 11 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી સહેલાણીઓ કૅફે સેવાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત પહેલીવાર ક્રૂઝ પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જેમાં મટકીફોડનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે. ટૂંકમાં સહેલાણીઓને સાબરમતી નદી પર ક્રૂઝની સાથે જન્માષ્ટમી પર્વ પણ માણવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એએમસીની બેધારી નીતિ અને અન્ય કાણોસર ક્રૂઝ સેવા બંધ હતી.

