VIDEO: દિપડા પર નજર રાખવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ઠાકુરદ્વારા અને આસપાસના ગ્રામિણ વિસ્તારોમાં દિપડાની વધતી હિલચાલે ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. દિપડાના આતંકથી ગ્રામિણ વિસ્તારના લોકોને બચાવવા માટે વન વિભાગે ટેક્નોલોજી કવચ તૈયાર કર્યું છે. વિભાગ દ્રારા દિપડા પ્રભાવિત ગામોમાં ખાસ વાઇલ્ડલાઇફ રિપેલન્ટ અને એલર્ટ સિસ્ટમ લગાવી છે. આ સાધનનો ઉપયોગ દિપડા અને અને વન્યજીવની હિલચાલની તત્કાલિન જાણકારી મેળવી ગ્રામજનો અને વન વિભાગને સચેત કરવાનો છે. આ ડિવાઇસમાં મૂવમેન્ટ ડિટેક્શન અને કેમેરા આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. દિવસ અને રાત્રિ દરમિયાન ગામની આસપાસના વન્ય જીવ પ્રભાવિત વિસ્તારો પર નજર રાખે છે. કોઈ વન્યજીવ કેમેરાની રેન્જમાં આવે ત્યારે તેની મૂવમેન્ટ કેપ્ચર થાય છે અને સિસ્ટમ દ્વારા એલર્ટ જનરેટ કરવામાં આવે છે. વન વિભાગની ટીમને દિપડો કયા વિસ્તારમાં છે અને કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે તેની માહિતી મળી શકે. ખાસ કરીને રાત્રિના સમયે આ સિસ્ટમ ગ્રામજનો માટે ખુબ મહત્વની બની જાય છે. દિપડાની હાજરી અંગે સમયસર ચેતવણી મળવાથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી શકે. બાળકો તથા પશુઓને સુરક્ષિત રાખી શકે.
ઠાકુરદ્વારા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દિપડાની હિલચાલ અને હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. ખેડૂતો પર હુમલા અને ગામોની નજીક દિપડા દેખાવાની ઘટનાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે. બલિયા ગામમાં ચારો લેવા ગયેલી એક વૃદ્ધ મહિલા પર દિપડાએ હુમલો કરતાં તેમનું મોત થયું હતું. વન વિભાગે સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યું હતું. દિપડાને શોધવા માટે ડ્રોન, ટ્રેપિંગ કેજ અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા પ્રમાણે ઠાકુરદ્વારા રેન્જમાં અત્યાર સુધીમાં અનેક દિપડાઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને સંવેદનશીલ ગામોમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ફોરેસ્ટ રેન્જ ઓફિસર રિજુલ કન્સલના જણાવ્યા પ્રમાણે, વન વિભાગની ટીમો દિપડાની મૂવમેન્ટ પર સતત નજર રાખી રહી છે અને જ્યાંથી દિપડાની હાજરી અંગે માહિતી મળે છે ત્યાં તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે. તેમણે ગ્રામજનોને અપીલ કરી છે કે તેઓ એકલા ખેતરમાં ન જાય, ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે સાવચેતી રાખે, બાળકો અને પશુઓને ખુલ્લામાં ન છોડે અને દિપડો દેખાય તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરે.
વન વિભાગ માને છે કે નવી એલર્ટ સિસ્ટમ, કેમેરા, ડ્રોન અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગને કારણે દિપડાની હિલચાલની વહેલી જાણકારી મેળવી શકાશે. માનવ-વન્યજીવ સંઘર્ષને અટકાવી ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે.
----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

