VIDEO: માંગરોળના ચોટલી વીડીમાં ઘાસચારાનું ગંભીર સંકટ
માંગરોળના ચોટલી વીડીમાં ઘાસચારાનું ગંભીર સંકટ
૧,૭૦૦ પશુઓના પોષણ સામે સવાલ!
ખોળના ભાવ રૂપિયા ૨,૨૦૦ પહોંચતાં માલધારીઓ બેહાલ
સૌરાષ્ટ્રમાં વરસાદે ખેંચ તણાઈ જતાં માલધારીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા ચોટલી વીડી ગામમાં ૧,૫૦૦થી ૧,૭૦૦ જેટલા પશુઓ માટે ઘાસચારાનું ગંભીર સંકટ સર્જાયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. વરસાદના અભાવે પશુઓ માટે લીલો ચારો મળવો મુશ્કેલ બન્યો છે, જેના કારણે માલધારીઓને મોંઘા ભાવે ચારો અને રૂપિયા ૨,૧૦૦થી ૨,૨૦૦ સુધીના ભાવે ખોળ ખરીદવાની ફરજ પડી રહી છે. સ્થાનિક માલધારીઓ ભીખનભાઈ ચાવડા અને બધાભાઈ કરમટાના જણાવ્યા અનુસાર, ગામમાં પશુઓ ઉપરાંત ગ્રામજનો માટે પણ પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે. ગામના કૂવા અને અવેડાઓમાં પૂરતું પાણી ન હોવાથી બહારથી પાણી ટેન્કર કે અન્ય માધ્યમોથી લાવવાની નોબત આવી છે. માલધારીઓ માટે પશુપાલન જ રોજીરોટીનો મુખ્ય આધાર હોવાથી, દેવાના ભાર વચ્ચે જો વરસાદ વધુ ખેંચાશે તો તેમના ગુજરાન ચલાવવા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થશે.
કૂવા-અવેડા સુકાતાં બહારથી પાણી લાવવા ખેડૂતો મજબૂર!
દેવાના ભાર હેઠળ કચડાતો પશુપાલક
બીજી તરફ, વહીવટી તંત્ર અલગ જ દાવો કરી રહ્યું છે. માંગરોળના મામલતદાર વી.ડી. મોરીના જણાવ્યા મુજબ, માંગરોળ પંથકમાં મોસમનો ૧૦૦ ટકા વરસાદ ચોપડે નોંધાઈ ચૂક્યો છે, તેથી તંત્રને ઘાસચારાની અછત અંગે માલધારીઓની સીધી ફરિયાદ મળી નથી. જોકે, સ્થાનિક સરપંચો દ્વારા ચારો બગડી ગયો હોવાની રજૂઆતો ચોક્કસ મળી છે, જે અંગે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ આવવાની આશા છે. હાલ ચોટલી વીડી ગામના સ્થાનિકો અને માલધારીઓની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિનામૂલ્યે કે રાહત દરે ઘાસચારો અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. વરસાદની અછત વચ્ચે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ખેડૂતોની સાથે સાથે માલધારી પરિવારો પણ આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

