VIDEO: અમરેલીમાં મેઘરાજાના રિસામણા લાઠી પંથકમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો ભારે પરેશાન!
અમરેલીમાં મેઘરાજાના રિસામણા
લાઠી પંથકમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો ભારે પરેશાન!
કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતાં જ સમગ્ર પંથકના ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને લાઠી પંથકમાં વરસાદ અચાનક ખેંચાઈ જતાં જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ચોમાસાના પ્રારંભે પડેલા સારા વરસાદ બાદ ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ગાયબ થઈ જતાં ઉભો પાક સુકાઈ રહ્યો છે અને હવે ખેડૂતો ચાતક નજરે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાઠી તાલુકાના રામપર ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ખેંચના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રામપરના ખેડૂતોએ હજારો હેક્ટરમાં મસમોટા ખર્ચે કપાસ અને મગફળી સહિતના રોકડિયા પાકોનું વાવેતર કર્યું હતું. જોકે, વાવેતર બાદ નહીવત વરસાદ પડવાને કારણે કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણપણે ફેલ જવાની ભીતિ સેવાઈ રહી છે.
વાવેતર બાદ વરસાદ ગાયબ થતાં ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો!
'સૌની યોજના' હેઠળ ગાંગડિયામાં તાત્કાલિક પાણી છોડવા માગ!
વિકટ બનતી જતી આ પરિસ્થિતિ વચ્ચે લાઠી પંથકના સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રશાસન અને સરકાર સમક્ષ તાકીદે રાહત પગલાં ભરવાની જોરદાર માગ કરવામાં આવી છે. ખેડૂતોએ સૌની યોજના હેઠળ ગાંગડિયામાં તાત્કાલિક પાણી છોડવાની રજૂઆત કરી છે જેથી આસપાસના ખેતરોને સિંચાઈનું પાણી મળી રહે અને બળતા પાકને નવજીવન આપી શકાય. રામપર ગામના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો તાકીદે સિંચાઈનું પાણી કે વરસાદ નહીં મળે તો ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જશે. બરબાદીના આરે પહોંચેલા ખેડૂતોએ સરકાર પાસે રામપર સહિતના પ્રભાવિત ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવાની આકરી માગ ઉઠાવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

