VIDEO: ભાગલપુરમાં આફતનો પૂર: રાઘોપુર-નરકટિયા તટબંધ તૂટતાં મચી ભારે તબાહી!
બિહારના ભાગલપુર જિલ્લામાં પૂર અને ધોધમાર વરસાદ વચ્ચે એક મોટી આફત સામે આવી ચૂકી છે. વિસ્તારમાં રાઘોપુર-નરકટિયા તટબંધ અચાનક તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. તટબંધનો આશરે ૭૦ થી ૮૦ મીટર જેટલો મોટો હિસ્સો ધોવાઈ જતાં આસપાસના નીચાણવાળા રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં નદીના ધસમસતા પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગંભીર દહેશતનો માહોલ સર્જાયો છે. તટબંધ તૂટવાની આ ઘટના બાદ સામે આવેલા દ્રશ્યોમાં નદીના રોદ્ર સ્વરૂપ અને પાણીના પ્રચંડ પ્રવાહની તીવ્રતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ૭૦ થી ૮૦ મીટરના ગાળામાં પાણીના આકરા વહેણને કારણે ગામડાઓને જોડતા રસ્તાઓ અને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાણી ઝડપથી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને પોતાનો સામાન અને પશુધનને લઈને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે તટબંધના સમારકામ અને પ્રી-મોન્સૂન કામગીરીમાં ગંભીર લાલિયાવાડી દાખવવામાં આવી હતી, જેના પરિણામે આજે હજારો લોકો બેઘર બનવાના આરે આવી પહોંચ્યા છે. બનાવની જાણ થતાં જ સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ભાગલપુર વહીવટી તંત્ર દ્વારા તૂટેલા તટબંધનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નદી કિનારાના અન્ય વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત ચોકીયાત નજર રાખવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

