શું OTT પર આવી રહી છે 'Mahavatar Narsimha'? ફિલ્મ મેકર્સે પોસ્ટ શેર કરી આપી જાણકારી

'સૈયારા' ફિલ્મની બમ્પર કમાણી વચ્ચે, 'મહાવતાર નરસિંહા' (Mahavatar Narsimha) એ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબનો ભાગ બની ગઈ છે. આ ફિલ્મની ઝડપી કમાણી વચ્ચે, તેની OTT રિલીઝ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ આવવાની અટકળો પર મેકર્સે પોસ્ટ શેર કરીને પ્રતિક્રિયા આપી છે.
મેકર્સે શું કહ્યું?
ફિલ્મના મેકર્સે 'મહાવતાર નરસિંહા' (Mahavatar Narsimha) ના OTT રિલીઝ અંગેના સમાચારને અફવા ગણાવી છે. તેમણે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે ફિલ્મ હાલમાં થિયેટરોમાં છે. OTT રિલીઝની વાતો માત્ર અફવાઓ છે. મેકર્સે લખ્યું છે કે, "મહાવતાર નરસિંહા વિશે દર્શકોના ઉત્સાહ અને OTT પરની ચર્ચા માટે અમે આભારી છીએ, પરંતુ અત્યાર સુધી આ ફિલ્મ વિશ્વભરના થિયેટરોમાં ચાલી રહી છે. હાલ સુધી કોઈ OTT ડીલ નથી નક્કી થઈ."
મેકર્સે લખ્યું, 'અફવાઓથી દૂર રહો'
મેકર્સે પોસ્ટ દ્વારા દર્શકોને અફવાઓથી દૂર રહેવાનું સૂચન પણ કર્યું છે. નિવેદનમાં લખ્યું છે, "અફવાઓથી દૂર રહો! ટૂંક સમયમાં OTT પર 'મહાવતાર નરસિંહ' આવવાની ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ અમે સ્પષ્ટ કરીએ છીએ કે અમે હાલમાં કોઈ OTT પ્લેટફોર્મ નક્કી નથી કર્યું. અમારા સત્તાવાર હેન્ડલ પરથી શેર કરાયેલા અધિકૃત અપડેટ્સ પર જ વિશ્વાસ કરો. તમારો વિશ્વાસ સનાતની ગર્જનાને જીવંત રાખે છે!"
બોક્સ ઓફિસ પર મજબૂત પ્રદર્શન
'મહાવતાર નરસિંહ' (Mahavatar Narsimha) એક પૌરાણિક ફિલ્મ છે. તેનું દિગ્દર્શન અશ્વિન કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. 25 જુલાઈના રોજ રિલીઝ થયેલી, ફિલ્મે 11મા દિવસે 7.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 12મા દિવસે, ફિલ્મે 7.9 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું કુલ નેટ કલેક્શન 106.2 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

