બોલિવૂડની ગ્લેમર લાઈફ છોડી સેનામાં જોડાઈ! જાણો કોણ છે રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા

બોલિવૂડની ઝાકઝમાળ છોડીને ખાખી અને સેનાનો રસ્તો પસંદ કરનાર રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લાની કહાણી આજકાલ ફરી ચર્ચામાં છે. ભોજપુરી અને હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રવિ કિશનની પુત્રી ઈચ્છેત તો મનોરંજનની દુનિયામાં સરળતાથી એન્ટ્રી કરી શકી હોત. પરંતુ તેણે પોતાના કરિયર માટે તદ્દન અલગ જ માર્ગ પસંદ કર્યો. નાનપણથી જ આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતી ઈશિતાએ NCCમાં ટ્રેનિંગ લીધી અને પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓનો પણ હિસ્સો બની.
રવિ કિશને ઘણા પ્રસંગોએ પોતાની પુત્રીની આર્મીમાં જોડાવાની ઈચ્છાનો ઉલ્લેખ કર્યો છે. 2023માં તેમણે જણાવ્યું હતું કે ઈશિતા છેલ્લા આશરે ત્રણ વર્ષથી દેશસેવાની તૈયારી કરી રહી હતી. તે સમયે તે દિલ્હી ડાયરેક્ટોરેટની 7 ગર્લ્સ બટાલિયન NCCની કેડેટ હતી અને કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓમાં ભાગ લઈ રહી હતી.
2023ની પ્રજાસત્તાક દિવસની પરેડ માટે દેશભરમાંથી NCCની 659 મહિલા કેડેટ્સે કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાંથી 148 કેડેટ્સને માર્ચિંગ ટુકડી માટે પસંદ કરવામાં આવી હતી. ઈશિતા પણ આ પસંદગી પામેલી ટુકડીનો એક ભાગ હતી.
ઈશિતાની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પણ તેની ટ્રેનિંગ પ્રત્યેની ગંભીરતાનો અંદાજ આવે છે. તે ગણવેશ (વર્દી)માં પોતાની તસવીરો અને ટ્રેનિંગ સાથે જોડાયેલા વીડિયો શેર કરતી રહે છે. એક પોસ્ટમાં તેણે ટ્રેનિંગ દરમિયાન લાગેલી ઈજાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જિંદગીમાં મળેલા આ નિશાન એ વાતની સાબિતી છે કે તેણે પૂરી મહેનતથી પોતાના લક્ષ્ય તરફ કદમ વધાર્યા છે.
જૂન 2023માં રવિ કિશનની પુત્રી અગ્નિપથ યોજના હેઠળ ‘મહિલા અગ્નિવીર’ બની હોવાના સમાચાર સામે આવ્યા હતા. રવિ કિશને પણ આ વાતની પુષ્ટિ કરી હતી. મહિલા દિવસ 2025 પર એક ઈન્ટરવ્યૂમાં રવિ કિશને ગર્વથી કહ્યું હતું કે, "મારી પુત્રી આર્મી જોઈન કરી રહી છે. તે એક સ્નાઈપર શૂટર છે."
ઈશિતાના આ નિર્ણયની અસંખ્ય સેલિબ્રિટીઝે પ્રશંસા કરી છે. અનુપમ ખેર તેને 'કરોડો છોકરીઓ માટે પ્રેરણા' ગણાવી ચૂક્યા છે. અભિનેતા આર. માધવને પણ ઈશિતાના વખાણ કર્યા છે. માધવન પોતે પણ NCC કેડેટ રહી ચૂક્યા છે અને બ્રિટિશ આર્મીમાં ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે. સ્ટાર કિડ હોવા છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બદલે સંરક્ષણ ક્ષેત્રને પસંદ કરવા બદલ લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
સુખ-સુવિધાઓ છોડીને આર્મીનો માર્ગ પસંદ કરનાર ઈશિતા શુક્લા આજે દેશના એ તમામ યુવાનો માટે એક મિસાલ બની ચૂકી છે, જેઓ ગણવેશ પહેરીને ભારત માતાની રક્ષા કરવાનો જઝબો ધરાવે છે.

