VIDEO: Oscarsમાં Dharmendraને યાદ ન કરાતા હેમા માલિની અને એશા દેઓલે આપી પ્રતિક્રિયા
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ગત વર્ષે નવેમ્બરમાં 89 વર્ષની વયે અવસાન થયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં 79મા બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA) ના 'ઇન મેમોરિયમ' વિભાગમાં 'શોલે' અભિનેતાને યાદ કરવામાં આવ્યા હતા. વિશ્વભરમાં ધર્મેન્દ્રની જેવી ફેન ફોલોઈંગ છે, તે જોતા ચાહકોને પૂરી આશા હતી કે ઓસ્કર 2026ના 'ઇન મેમોરિયમ' સેગમેન્ટમાં પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જોકે, લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન આવું થયું નહીં.
જ્યારે 98મા એકેડમી એવોર્ડ્સમાં ધર્મેન્દ્રનો ઉલ્લેખ ન થયો, ત્યારે ચાહકોએ સોશિયલ મીડિયા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હવે ઓસ્કરના મુખ્ય 'ઇન મેમોરિયમ' સેગમેન્ટમાં ધર્મેન્દ્રના નામનો ઉલ્લેખ ન થવા પર તેમની પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
ધર્મેન્દ્રની અવગણના પર નારાજ થયા હેમા માલિની
હેમા માલિનીએ ઓસ્કરમાં પતિ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ ન આપવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે: "આ શરમજનક છે. આ ખરેખર દુઃખની વાત છે કે ઓસ્કરમાં એ દિગ્ગજ અભિનેતાની અવગણના કરવામાં આવી, જે વિશ્વના અલગ-અલગ ભાગોમાં અગણિત લોકો માટે ઘણું મહત્વ ધરાવે છે. ધરમજી દરેક જગ્યાએ જાણીતા છે. તેમને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડ્સ નથી મળ્યા. તો તેમને ઓસ્કરની પરવા જ શા માટે હશે? અમને બંનેને આપણા દેશમાં જે પ્રેમ મળ્યો છે, તેનાથી અમે ખૂબ ખુશ છીએ. એવોર્ડ્સ હંમેશા તેમનાથી દૂર જ રહ્યા. ફિલ્મ 'લાલ પત્થર' અને 'મીરા'માં મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું, પરંતુ મને પણ તેના માટે ક્યારેય કોઈ એવોર્ડ મળ્યો ન હતો."
આનાથી પપ્પાને ક્યારેય ફરક પડતો નહોતો' - એશા દેઓલ
હેમા માલિની પહેલા તેમની પુત્રી એશા દેઓલે પિતાને ઓસ્કર 2026માં શ્રદ્ધાંજલિ ન મળવા પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, "મને નથી લાગતું કે આ બધી બાબતોથી પપ્પાને ક્યારેય કોઈ ફરક પડતો હોય. તેમનું હૃદય આ વિશે વિચારવા કરતા ઘણું મોટું હતું. તેમના માટે, જીવન ક્યારેય સ્ટેટસ અને મોભા વિશે નહોતું, પરંતુ તે હંમેશા પ્રેમ, દયા અને એવા લોકો સાથે જોડાયેલું હતું જે તેમના હૃદયમાં વસતા હતા."
તમને જણાવી દઈએ કે ઓસ્કર 2026ના 'ઇન મેમોરિયમ' સેગમેન્ટમાં રોબ રેનર, ડાયને કીટન અને રોબર્ટ રેડફોર્ડ સહિત અન્ય હોલીવુડ સ્ટાર્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમનું ગત વર્ષે નિધન થયું હતું. આ એવોર્ડ ફંક્શનમાં શ્રદ્ધાંજલિ સમારોહ પાછલા વર્ષોની સરખામણીમાં લગભગ 15 મિનિટ લાંબો હતો. આટલા લાંબા સમય છતાં જ્યારે ટીવી બ્રોડકાસ્ટમાં ધર્મેન્દ્રનું નામ લેવામાં ન આવ્યું, ત્યારે તેમના ભારતીય અને વિદેશી ચાહકોના દિલ તૂટી ગયા હતા.

