VIDEO: 29 વર્ષ જૂનું આંદોલન અને 2026નું રાજીનામું! ધર્મેન્દ્ર પ્રધાનની કિસ્મતનો ગજબ ખેલ!
નીટ પેપર લીકને લઈને લાંબા વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક રસપ્રદ વાત એ છે કે તેમણે લગભગ 29 વર્ષ પહેલાં પોતાના વિદ્યાર્થી જીવનમાં પેપર લીક સામે આંદોલન કર્યું હતું. હવે લગભગ ત્રણ દાયકા પછી પેપર લીકના કારણે જ તેમણે રાજીનામું આપવાની ફરજ પડી છે. ઓડિશાના તાલચેર ખાતે 26 જૂન 1969ના રોજ જન્મેલા ધર્મેન્દ્ર પ્રધાનને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા ડૉ. દેબેન્દ્ર પ્રધાન ભારતીય જનતા પાર્ટીના પ્રારંભિક નેતાઓમાંના એક હતા અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી પણ હતા.
ધર્મેન્દ્ર પ્રધાનનો શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યકાળ જુલાઈ 2021માં શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP) લાગુ કરી, જેને દેશની શિક્ષણ નીતિમાં મહત્વપૂર્ણ બદલાવ માનવામાં આવે છે. બીજી તરફ, દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સાથે જોડાયેલા ગંભીર વહીવટી વિવાદો પણ સામે આવ્યા.
પેપર લીક સામે રસ્તા પર ઉતર્યા હતા પ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાનના જીવનમાં વર્ષ 1997 એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. તે સમયે તેઓ ABVPના રાષ્ટ્રીય સચિવ હતા. સ્વર્ગસ્થ જે.બી. પટનાયકની સરકારમાં ઓડિશામાં 12મા ધોરણની બોર્ડ પરીક્ષાનું પેપર લીક થયું હતું, જેના વિરોધમાં સોશિયલ મીડિયા અને રસ્તા પર ABVP કાર્યકરોએ વિધાનસભા બહાર જોરદાર પ્રદર્શન કર્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાને આ વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. પ્રદર્શનકારીઓને હટાવવા માટે રેપિડ એક્શન ફોર્સે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રશાંત રાઉત સહિત કુલ 64 કાર્યકરોને ઈજા થઈ હતી.
મોદી 1.0 કેબિનેટમાં કાર્યકાળ
26 મે 2014: મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમને કેન્દ્રીય પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) બનાવવામાં આવ્યા.
3 સપ્ટેમ્બર 2017: તેમને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયનો વધારાનો પ્રભારી પણ સોંપાયો. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને PAHAL (DBT) યોજનાના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકે પ્રધાનનો કાર્યકાળ
ધર્મેન્દ્ર પ્રધાનનો શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યકાળ બે તબક્કામાં વહેંચાયેલો છે. આ દરમિયાન તેમણે ઝડપથી નીતિઓ લાગુ કરી અને સિસ્ટમની પરીક્ષા લેતી અનેક સમસ્યાઓ પણ સામે આવી:
તબક્કો-1: મોદી 2.0 કેબિનેટ (જુલાઈ 2021 – જૂન 2024)
કેબિનેટ ફેરબદલમાં ધર્મેન્દ્ર પ્રધાનને જુલાઈ 2021માં રમેશ પોખરીયાલ નિશંકની જગ્યાએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. શિક્ષણ અને રોજગારના લક્ષ્યોને સાથે જોડવા માટે તેમણે કૌશલ્ય વિકાસ મંત્રાલયની જવાબદારી પણ સાંભળી.
આ કાર્યકાળમાં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું નેતૃત્વ કર્યું. ચાઇલ્ડહૂડ લર્નિંગમાં મોટા બદલાવ માટે તેમણે ‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ધ ફાઉન્ડેશનલ સ્ટેજ’ (NCF-FS) લોન્ચ કર્યું. ત્યારબાદ સપ્ટેમ્બર 2022માં તેમણે 14,500 સરકારી શાળાઓને smart અને ટેકનોલોજી બેઝ્ડ મોડેલ સ્કૂલમાં બદલવા માટે પીએમ શ્રી સ્કૂલની પહેલ શરૂ કરી.
ત્યારબાદ 2023માં, NTA માટે સંસ્થાકીય અને ટેકનિકલ સુધારાઓ સૂચવવા પૂર્વ ISRO પ્રમુખ કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં એક હાઇ-લેવલ કમિટી બનાવી. 2024નું વર્ષ તેમના માટે મુશ્કેલીઓથી ભરેલું રહ્યું, જ્યારે નીટ યુજી પેપર લીક અને ગ્રેસ માર્ક્સનો મુદ્દો સામે આવ્યો.
તબક્કો-2: મોદી 3.0 કેબિનેટ (જૂન 2024 – જુલાઈ 2026)
ધર્મેન્દ્ર પ્રધાનનો શિક્ષણ મંત્રી તરીકેનો બીજો કાર્યકાળ જૂન 2024થી શરૂ થયો. આ ટર્મ દરમિયાન જુલાઈ 2024માં તેમણે AI-આધારિત બહુભાષી શિક્ષણ ટૂલ્સનો વિસ્તાર કર્યો અને પ્રાદેશિક ભાષાઓને Digital Learningમાં સામેલ કરી.
બે વર્ષ પછી ફરી એકવાર નીટ યુજી પેપર લીકના મુદ્દાએ જોર પકડ્યું. 3 મે 2026ના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા પેપર લીકના કારણે રદ કરવી પડી. આ સિવાય સીબીએસઈ 12મા ધોરણની પરીક્ષામાં પણ ગડબડ સામે આવી. જેના કારણે દિલ્હીના જંતર-મંતર પર હજારો વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને અંતે 25 જુલાઈના રોજ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું.

