VIDEO: દીકરીના ભવિષ્યને બનાવો મજબૂત! આ સ્કીમમાં રોજના 50 રૂપિયા બચાવીને બનાવો લાખોનું ફંડ!
સરકાર સમયાંતરે એવી બચત યોજનાઓ લાવતી રહે છે, જેનાથી આમ જનતાનું ભવિષ્ય આર્થિક રીતે મજબૂત બને. દેશની દીકરીઓ માટે પણ ઘણી બધી યોજનાઓ છે જેનાથી વ્યાજ દ્વારા જ સરસ કમાણી થઈ શકે છે. આમાંની જ એક છે પોસ્ટ ઓફિસની અબાલ-વૃદ્ધ સૌની પ્રિય 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY), જે ખાસ કરીને દીકરીઓના સુરક્ષિત ભવિષ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.
આ યોજનામાં નાની-નાની રકમ જમા કરીને માતા-પિતા પોતાની દીકરીના શિક્ષણ અને લગ્ન જેવા મોટા ખર્ચાઓ માટે સારો એવો ફંડ તૈયાર કરી શકે છે. સરકાર તરફથી મળતા વધુ વ્યાજ દર અને ટેક્સ છૂટ આને સૌથી ફેમસ સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં સામેલ કરે છે. આ યોજના હેઠળ 10 વર્ષ સુધીની ઉંમરની દીકરીના નામે ખાતું ખોલાવી શકાય છે. તેમાં દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આમાં સરકાર 8.2 ટકાનું વ્યાજ આપે છે.
રોજના 50 રૂપિયા જમા કરવા પર મળશે લાખો
જો તમે તમારી દીકરીના ભવિષ્ય માટે નાની-નાની બચતથી મોટું ફંડ બનાવવા માગતા હોવ, તો પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારો ઓપ્શન હોઈ શકે છે. આ યોજનામાં જો તમે દરરોજ 50 રૂપિયા બચાવો છો, તો મહિનામાં અંદાજે 1,500 રૂપિયા અને વર્ષભરમાં 18,000 રૂપિયા જમા થશે. આ રીતે 15 વર્ષ સુધી રોકાણ કરવા પર તમારી કુલ જમા રકમ 2,70,000 રૂપિયા થશે.
આ યોજના લોંગ ટર્મ (લાંબા ગાળા)ની છે અને સરકાર દ્વારા નક્કી કરાયેલા વ્યાજ દરના આધારે રોકાણ પર સારો રિટર્ન આપે છે, જેનાથી દીકરીના શિક્ષણ કે લગ્ન જેવા મોટા ખર્ચાઓ માટે મજબૂત ફંડ તૈયાર કરી શકાય છે.
જો તમારી દીકરીની ઉંમર અત્યારે 10 વર્ષ છે અને તમે નિયમિતપણે દર મહિને 1,500 રૂપિયા જમા કરો છો, તો યોજનાની મેચ્યોરિટી સુધી તમને વ્યાજ તરીકે અંદાજે 5,61,309 રૂપિયા મળી શકે છે. એટલે કે તમારી 2,70,000 રૂપિયાની કુલ રોકાણ રકમ વધીને લગભગ 8,31,309 રૂપિયા થઈ જશે. આ રકમ વર્તમાન વ્યાજ દરના આધારે અંદાજિત છે અને સમયાંતરે સરકાર દ્વારા વ્યાજ દરમાં ફેરફાર થવા પર મેચ્યોરિટીની રકમમાં તફાવત આવી શકે છે.
ઝીરો રિસ્કનો ફાયદો
આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે આમાં શાનદાર રિટર્ન મળવાની સાથે જ આ પૂરા પૈસા સુરક્ષિત રહે છે. પોસ્ટ ઓફિસની અન્ય સ્કીમની સરખામણીએ પણ આ સ્કીમમાં વધુ વ્યાજ મળશે. આમાં કરવામાં આવેલા નાના-મોટા રોકાણ પર સુરક્ષાની ગેરંટી પણ સરકાર પોતે લે છે. એટલે કે આ ઝીરો રિસ્ક સેવિંગ સ્કીમ રહે છે.
સમય પહેલા ખાતું બંધ કરવા પર શું થશે?
જો સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાધારક (દીકરી) નું મૃત્યુ થઈ જાય છે, તો મૃત્યુ પ્રમાણપત્ર અને ફોર્મ-2 જમા કર્યા પછી ખાતું તુરંત બંધ કરી દેવામાં આવે છે. ખાતામાં જમા પૂરી રકમ અને મૃત્યુની તારીખ સુધીનું વ્યાજ વાલી (અભિભાવક) ને આપી દેવામાં આવે છે. જોકે, મૃત્યુની તારીખથી લઈને ખાતું બંધ થવા સુધીના સમયગાળા માટે માત્ર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ જેટલું જ વ્યાજ મળે છે.
આ સિવાય, આ ખાતું સામાન્ય સંજોગોમાં સમય કરતાં પહેલા બંધ કરી શકાતું નથી, પરંતુ ખાતું ખુલ્યાના ઓછામાં ઓછા 5 વર્ષ પછી કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સમય પહેલાં બંધ કરવાની મંજૂરી આપવામા આવે છે.

