Business: ઉદ્યોગપતિ એલોન મસ્કે આપી મોટી આગાહી! જાણો, કેમ કહ્યું આવું

ઈલેક્ટ્રિક વ્હીકલ્સમાં ક્રાંતિ લાવનારી ટેસ્લા હોય કે પછી રિયુઝેબલ રોકેટ સાથે સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવનારી સ્પેસએક્સ ઈલોન મસ્ક એવી કંપનીઓ બનાવવા જાણીતા છે, જે રેવોલ્યુશન લાવે છે. યુકેના પૂર્વ પીએમ રિશિ સુનક સાથે હાઈ-પ્રોફાઈલ વાતચીતમાં મસ્કે આગાહી કરીને ખળભળાટ મચાવ્યો છે. મસ્કે કહ્યું કે, આટફિશિયલ ઈન્ટેલિજન્સ જે સ્પીડે આગળ વધી રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે, થોડા સમયમાં કોડિંગ જેવી ટ્રેડિશનલ જોબ્સ અસ્તિત્વમાં જ નહીં હોય. એક એવો સમય આવશે જ્યારે કોઈ એઆઈ બધું કરી શકશે. કોઈ નોકરીની જરૂર નહીં રહે. જેને આત્મસંતોષ જોઈતો હશે તે જ નોકરી કરશે.
આજથી 10-20 વર્ષ બાદ કામ કેવું રહેશે તે મામલે મસ્કનું આ નિવેદન બોલ્ડ છે. પરંતુ, તેમને જ્યારે આ વિષય પર વધુ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આવનારા વર્ષોમાં કામ 'ટેલિઓપરેટેડ' હશે એટલે કામ વિડીયો ગેમ રમવા જેવું સરળ હશે. તમે 2035માં તમારા સોફા પરથી જોયસ્ટિક દ્વારા કામ કરી શકશો. મસ્કે તેમના નિવેદનને સમજાવતા કહ્યું કે, શાકભાજી મામલે તમારી પાસે બે વિકલ્પ હોય છે. વિકલ્પ નં-૧: ઘરે શાકભાજી ઉગાડો અને વિકલ્પ નં ૨: બજારમાંથી શાકભાજી ખરીદો. શાકભાજી ઘરે ઉગાડવા સરળ હોવા છતાં આપણે બહારથી ખરીદીએ છીએ એવું જ એઆઈનું હશે.
ઓટોમેશન 80 કરોડ નોકરીઓ ખાઈ જશે?
વિશ્વની ત્રણ અગ્રણી સંસ્થાઓએ એઆઈ મામલે આગાહી કરી છે. જેમાં, વિશ્વભરમાં 9.2 કરોડથી લઈને 80 કરોડ નોકરીઓને સીધી અસર થશે. કેટલાકના રોલ બદલાશે તો કેટલીક ધડમૂળથી સમાપ્ત થઈ જશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ 2025માં આગાહી કરી હતી કે, એઆઈને કારણે 2030 સુધીમાં વિશ્વભરમાંથી 9.2 કરોડ જોબ રોલ્સ સમાપ્ત થઈ જશે. પરંતુ, તેની સામે એઆઈ 17 કરોડ નવી નોકરીઓ બનાવશે. બીજી તરફ, મેકકિન્સે એન્ડ કંપનીએ અંદાજ લગાવ્યો છે કે, 2030 સુધીમાં 80 કરોડ કામદારો ઓટોમેશનને કારણે વિસ્થાપિત થઈ જશે.
ગોલ્ડમેનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એઆઈને કારણે પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. જે વૈશ્વિક જીડીપીમાં 7% સુધીનો વધારો કરશે.
પેટીએમના સીઈઓનું મસ્કના નિવેદનને સમર્થન
પેટીએમના સીઈઓ વિજય શેખર શર્માએ ઈલોન મસ્કના નિવેદનનું સમર્થન કર્યું છે. જેમાં, મસ્કે કહ્યું હતું કે, એઆઈ ગરીબીને દૂર કરશે. વિજય શર્માએ ઈલોન મસ્કના એક ટ્વીટને રીટ્વીટ કર્યું હતું, જેમાં મસ્કે કહ્યું કે, ગરીબી તો હટાવી શકાય પરંતુ, ઇર્ષ્યાને નહીં. તેમણે કહ્યું કે, મસ્ક સાચા છે. આપણે ગરીબીનો ઉકેલ લાવી શકીએ છીએ. ખાસ કરીને વિકસિત દેશોમાં કે જ્યાં ગરીબી આર્થિક નહીં પરંતુ, ઈર્ષ્યા વિશે છે.
શું 'ઓપ્શનલ વર્ક' ક્યારેય હકીકત બની શકે?
આ સવાલનો જવાબ આપતા ઈલોન મસ્કે કહ્યું કે, ઓપ્શનલ વર્કને હકીકત બનાવવા માટે લાખો હ્યુમનોઈડ રોબોટ્સની વર્કફોર્સ જોઈશે. ઉલ્લેખનીય છે કે, 470 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા મસ્ક છેલ્લા ઘણા સમયથી ટેસ્લાને ઈલેક્ટ્રીક વ્હીકલ્સ કંપનીની જગ્યાએ હ્યુમનોઈડ રોબોટ્સ બનાવનારી કંપની તરીકે રજૂ કરી રહ્યાં છે. તેઓ ઈચ્છી રહ્યાં છે કે, ટેસ્લાનો 80% નફો હ્યુમનોઈડ રોબોટ્સ ઓપ્ટિમસના વેચાણથી આવે. ઓપ્ટિમસ એવા રોબોટ્સ છે, જે ઘરકામથી લઈને ઈન્ડસ્ટ્રી વર્ક જેવું લેબર કરી શકે છે. તેમને હેલ્થકેર, સ્પેસ મિશન જેવા જટિલ કાર્યો માટે પણ તૈયાર કરવામાં આવ્યા છે. મસ્ક જાણે આડકતરી રીતે કહી રહ્યાં છે કે, તમે ઓપ્ટિમસ ખરીદો અને તમારા વર્કને ઓપ્શનલ બનાવો.
એઆઈ ભારત માટે 'આપદા કે અવસર' ?
એઆઈ ભારતમાં નોકરીઓને જડમૂળથી બદલી નાખશે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ, એઆઈ આગામી પાંચ વર્ષમાં ભારતના ટેક સેક્ટરમાં 20 લાખ જેટલી નોકરીઓને વિસ્થાપિત કરશે. જે હાલમાં 80 લાખ લોકોને સીધો રોજગાર આપતી ઈકોસિસ્ટમને અસર કરશે. આ રિપોર્ટ સૂચવે છે કે, એઆઈને કારણે 40 લાખ નવી નોકરીઓ પેદા થશે. અર્ન્સ્ટ એન્ડ યંગની આગાહી મુજબ, જનરેટિવ એઆઈ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં 3.8 કરોડ નોકરીઓને રિશેપ કરશે. જેમાં, ઉદ્યોગોમાં 24% વર્ક ફૂલ્લી ઓટોમેટેડ હશે. જ્યારે, બાકીનું 42% વર્ક 'એઆઈ એન્હેન્સ્ડ ' હશે. મેકકિન્સે ગ્લોબ્લ ઈન્સિટયૂટની ચેતવણી મૂજબ, ઓટોમેશનના કારણે ૨૦૩૦ સુધીમાં ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખાસ કરીને ટેક્સટાઈલ અને ઈલેક્ટ્રોનિક્સમાં 6 કરોડ કામદારો વિસ્થાપિત થશે. ભારતના આઈટી સેક્ટરમાં એઆઈની અસરો જોવા મળી રહી છે. જેમાં, કોડિંગ, ટેસ્ટિંગ અને સિસ્ટમ મેન્ટેનન્સ જેવા કાર્યો ઓટોમેટેડ થઈ રહ્યાં છે. આ પરિવર્તનને કારણે 78,000થી વધુએ નોકરીઓ ગુમાવી છે. આ પડકારો વચ્ચે નિષ્ણાતોએ આગાહી કરી છે કે, ભારત એઆઈનું પાવરહાઉસ બનીને ઉભરી શકે છે.
બીજી તરફ, વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અંદાજ મુજબ, એઆઈને કારણે 2030 સુધીમાં ભારતમાં એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ અને એઆઈ પાવર્ડ કસ્ટમર કેર જેવી 4 કરોડ નવી નોકરીઓ ઊભી થશે.

