Aadhar Update: હવે ઘરે બેઠા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી શકશો, જાણો આખી પ્રક્રિયા

Aadhar Update : આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરવાનું હવે સહેલું થઈ રહ્યું છે. અત્યાર સુધી આ નંબર બદલાવવા માટે સેન્ટર પર જવું પડતું હતું. જોકે હવે યુઝર્સ તેમની આધાર ઍપ્લિકેશન પરથી જ એને બદલી શકશે. આ માટે ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે આધાર સર્વિસમાં બદલાવ કરવા જઈ રહ્યા છે. આ બદલાવમાં હવે યુઝર્સ તેમના મોબાઇલ નંબરને ઓનલાઇન બદલી શકશે. નંબર બદલવા માટે પણ યુઝર્સે ઘણી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું અને એ માટે સમય નીકળી જતો હતો. જોકે હવે આ પ્રોસેસને ખૂબ જ સરળ અને ઝડપી બનાવવામાં આવી રહી છે.
કેવી રીતે કરવામાં આવશે અપડેટ?
આ માટે યુઝરે માય આધાર ઍપ્લિકેશન પર જઈને પ્રોસેસ શરુ કરવાની રહેશે. યુઝર જ્યારે નંબર બદલશે ત્યારે નવા નંબર પર એક OTP આવશે. આ OTP દ્વારા ઓથેન્ટિકેશન કર્યા બાદ ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે. આ માટે UIDAI દ્વારા મોબાઇલના સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ વેરિફિકેશન થયા બાદ યુઝરનો મોબાઇલ નંબર બદલાઈ જશે. આથી તેમને આધાર કેન્દ્રમાં જવાની જરૂર નહીં રહે. ઘરે બેઠા-બેઠા પણ હવે આ બદલાવ કરી શકાશે. આ અપડેટને આધાર ઍપ્લિકેશનમાં રજૂ કરવામાં આવશે. આ અપડેટ ક્યારે આપવામાં આવશે એ વિશે જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ આ ફીચરને બહુ જલદી એન્ડ્રોઇડ અને એપલમાં આપવામાં આવશે.
લોકોને થશે ફાયદો
આ માટે યુઝરે હવે કામ છોડીને અથવા તો ઑફિસમાંથી રજા પાડીને લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. આ ફીચર યુઝરની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ફીચર ખાસ કરીને વૃદ્ધો, ગામડાઓ અને જ્યાં આધાર કેન્દ્ર ન હોય એવી જગ્યા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આ પ્રોસેસ માટે આધાર કેન્દ્રમાં કલાકો નીકળી જતાં હતા એ હવે ફક્ત થોડી મિનિટમાં પૂરું થઈ જશે. આ ઍપ્લિકેશનની મદદથી હવે પેપર પર કામ ઓછું થશે અને ડિજિટલ વધુ જોવા મળશે.
સિક્યોરિટીને પ્રાધાન્ય
ભારત હવે ડિજિટલ તરફ વધી રહ્યું છે ત્યારે આધારને વધુ સેફ અને સિક્યોર બનાવવું જરૂરી છે. આથી જ મોબાઇલ નંબરના બદલાવ માટે પણ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને OTP અને બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભવિષ્યમાં પણ એમાં ઘણાં બદલાવની સાથે એને વધુ સિક્યોર બનાવવાની કોશિશ કરવામાં આવશે.

