VIDEO: NEWS AFTERNOON / H-1B વિઝા પર ૩ વર્ષનો સ્ટે? જંતર-મંતર આંદોલનને મળેલા વ્યાપક સમર્થનથી ભાજપમાં ચિંતા, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ
રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ, 15 લોકોના મોત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુમલાઓનો સિલસિલો યથાવત છે. તાજેતરના હુમલાઓમાં કુલ 15 લોકોના મોત નીપજ્યા છે. રશિયાના કબજા હેઠળના ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં આવેલા હોલિડે કેમ્પ પર યુક્રેને કરેલા હુમલામાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે યુક્રેનના ઉત્તર-પૂર્વીય સુમી વિસ્તારમાં રશિયન ડ્રોન હુમલામાં 3 લોકોના મોત થયા હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે.
IBના રિપોર્ટથી સરકાર ચોંકી ગઈ!
જંતર-મંતર પર ચાલી રહેલા CJP આંદોલન અંગે સેન્ટ્રલ IBના રિપોર્ટે સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. IB મુજબ આ આંદોલનને રમતવીરો, વિવેચકો અને યુવાનો સાથે ભાજપના હાર્ડકોર ટેકેદારોનું પણ સમર્થન મળી રહ્યું છે. બળવાની ભીતિ વચ્ચે કેન્દ્રીય મંત્રીઓએ સોશિયલ મીડિયા પર મૌન સેવી લીધું છે.
H-1B વિઝા પર ૩ વર્ષનો સ્ટે?
અમેરિકામાં કાયદેસર પ્રવેશતા ઇમિગ્રન્ટ્સ પર લગામ કસવા સેનેટમાં એક નવું બિલ રજૂ કરાયું છે. આ બિલમાં H-1B વિઝા જાહેર કરવા પર ત્રણ વર્ષ માટે સ્ટે મૂકવાની જોગવાઈ છે. જો આ બિલ પસાર થશે, તો હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ અને તેમના કરિયર પર મોટી આંચ આવી શકે છે.
ઇરાન અણુમથક નષ્ટ કરવાની ટ્રમ્પની ધમકી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના રહસ્યમયી 'પિકએક્સ માઉન્ટેન' અણુકેન્દ્રને નષ્ટ કરવાની ખુલ્લી ધમકી આપી છે. નતાંઝ પાસે ખડકની ૮૦થી ૧૦૦ મીટર અંદર બનેલા આ સુપર સિક્રેટ અણુમથકને સંપૂર્ણપણે તોડી પાડવું લગભગ અશક્ય માનવામાં આવે છે, પરંતુ ટ્રમ્પના આ નિવેદને વૈશ્વિક તણાવ વધારી દીધો છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા માં મોટો બ્લાસ્ટ
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લામાં શનિવારે એક ભયાનક ધમાકો થયો છે. આ બ્લાસ્ટમાં ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક સ્થાનિક નેતાનો આબાદ બચાવ થયો છે. ધમાકા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને સુરક્ષા દળોએ તપાસ હાથ ધરી છે.
ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ
હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં મેઘરાજા ઘમરોળશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જ્યારે અન્ય ૫ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં પૂરની સ્થિતિ
વરસાદના વિરામ છતાં સુરેન્દ્રનગરના લખતરનું બાબાજીપરા ગામ છેલ્લા ૪૮ કલાકથી પાણીમાં ગરકાવ છે. ગામમાં કેડ સમાણા પાણી ભરાતા મહિલાઓ અને બાળકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરવખરી તબાહ થતાં ગ્રામજનોએ કલેક્ટર પાસે ફૂડ પેકેટ્સ અને તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે.
ધોળકામાં પૂરના પાણીમાંથી 2 મૃતદેહ મળ્યા
અમદાવાદના ધોળકામાં ભારે વરસાદી પૂર બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળકાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના ભારે પ્રવાહમાં બે અલગ-અલગ જગ્યાએથી પુરુષોના મૃતદેહો તણાઈને આવતા સમગ્ર પંથક અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

