VIDEO: NEWS AFTERNOON/ સાઉદીની અરામકો પર મિસાઈલ હુમલો, "બાળકોને ઓર્ડર નહીં, લોજિક જોઈએ", આજથી ગાંધીનગરમાં Gen-Zનું આંદોલન!
સાઉદીની અરામકો પર મિસાઈલ હુમલો!
યમનના હૂતી જૂથે સાઉદી અરેબિયાના જિઝાન, યાનબૂ અને અરામકોની તેલ કંપનીઓ પર ડ્રોન અને મિસાઈલથી જોરદાર હુમલા કર્યા છે. આ જવાબી કાર્યવાહી બાદ સાઉદીમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરાયું છે, જેનાથી વૈશ્વિક વેપાર પર ભારે સંકટ ઘેરાયું છે.
સરકાર સાથે ડીલના આરોપ પર વાંગચુક ભડક્યા!
૨૬ દિવસના અનશન તોડ્યા બાદ 'સરકાર સાથે ડીલ'ના આરોપો લાગતાં સોનમ વાંગચુકે ૨૨ મિનિટનો વીડિયો જાહેર કરી આક્રોશ ઠાલવ્યો છે. ૧૧ કિલો વજન ઘટ્યા બાદ પણ ચારિત્ર્ય પર સવાલ ઉઠાવનારાઓ પર ધિક્કાર વ્યક્ત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ૬૫ સાંસદોની અપીલ અને તબિયત લથડતાં તેમણે લેહ-લદ્દાખ સમિતિની હાજરીમાં આ અનશન તોડ્યા હતા.
બાળકોને ઓર્ડર નહીં, લોજિક જોઈએ: ભાગવત
RSS પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે નવી પેઢી ઓર્ડર નહીં પરંતુ સંવાદ અને લોજિક ઈચ્છે છે. બાળકોની જિજ્ઞાસા સંતોષવા સિલેબસમાં હિન્દુ દેવી-દેવતાઓની માહિતી ઉમેરવા તેમજ પેરેન્ટ્સને બાળકો સાથે ખુલ્લા મનથી સંવાદ કરવા તેમણે અપીલ કરી છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વગર કશું મંજૂર નથી: CJP
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો યોજાઈ. CJPના નેતા આશુતોષ રાંકાએ જંતર-મંતરથી વડાપ્રધાન સુધી સંદેશો પહોંચાડતા સ્પષ્ટ કર્યું કે, પ્રધાનના બરતરફી વગર આંદોલન સમેટાશે નહીં અને ટૂંક સમયમાં નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર દેશવ્યાપી વિરોધ કરાશે.
ગાંધીનગરમાં Gen-Zનું વગર નેતાએ આંદોલન!
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે Gen-Z યુવાઓએ કોઈપણ રાજકીય નેતૃત્વ વિના સ્વયંભૂ આંદોલન શરૂ કરતાં ગુજરાત સરકારની ચિંતા વધી છે. શહેરી વોટબેંકમાં ગાબડું પડવાના ડરે તંત્ર દ્વારા હોસ્ટેલ-કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકીઓ અને IB દ્વારા નજર રાખવા છતાં યુવાનોનો આક્રોશ યથાવત છે.
ગુજરાતમાં જળપ્રલય: ૨૪ કલાકમાં ૩૧ હજારનું સ્થળાંતર!
ગુજરાતના 253 તાલુકામાં ધોધમાર વરસાદથી હાહાકાર મચ્યો છે, જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.25 ઈંચ વરસાદ ખાબક્યો છે. પૂરના કારણે 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 3 હજારનું રેસ્ક્યુ અને 1200થી વધુ રસ્તા બંધ થતાં જનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગે આવતીકાલે મહેસાણા અને ગાંધીનગર સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
₹૮૯ કરોડના બ્રિજમાં ૪૮ કલાકમાં ગાબડું!
ગાંધીનગરના સાદરા-અલુવા વચ્ચે સાબરમતી નદી પર ૮૯ કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજના લોકાર્પણના માત્ર ૪૮ કલાકમાં જ ભારે વરસાદથી એપ્રોચ રોડ પર મોટું ગાબડું પડ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ બ્રિજનો રોડ ધસી જતાં વન-વે વાહન વ્યવહાર કરવો પડ્યો છે, જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરાયું છે.
સુરતથી રાજસ્થાન જતી બસમાં ભીષણ આગ!
સુરતથી રાજસ્થાન જઈ રહેલી શ્રીરામ ટ્રાવેલ્સની બસમાં કોસંબા-ધામરોડ પર અચાનક ભીષણ આગ લાગી હતી. ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસ રોડની સાઇડમાં ઊભી રાખી ૧૮ મુસાફરો સહિત તમામ ૨૧ લોકોને સામાન સાથે સુરક્ષિત બહાર કાઢતાં મોટી હોનારત ટળી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે આગનું કારણ અકબંધ છે.

