VIDEO: EVENING BULLETIN / રશિયા પર પ્રતિબંધો ટળ્યા, ધાર ભોજશાળા કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, ગુજરાત ટેરર મોડ્યુલ પર સકંજો
ઈરાનના 6 શહેરો પર હુમલો
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ઘાતક સ્તરે પહોંચ્યો છે. અમેરિકી સેનાએ ઈરાનના ૬થી વધુ શહેરો પર સળંગ ૫ કલાક હુમલો કર્યો હતો, જેની સામે ઈરાને પણ જવાબી હુમલા કર્યા છે. આ ભીષણ જંગને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ૨ ટકા ઉછળી ગયા છે.
રશિયા પર પ્રતિબંધો ટળ્યા
યુરોપિયન યુનિયનની હાઈપ્રોફાઈલ બેઠકમાં નેતાઓ વચ્ચે આંતરિક સહમતિ ન સધાતા રશિયા પર લાદવામાં આવનારા નવા પ્રતિબંધો ટળી ગયા છે. ભારતીય વિદેશ મંત્રાલય આ નિર્ણય પર ઝીણવટભરી નજર રાખી રહ્યું હતું, કારણ કે જો આ પ્રતિબંધો અમલી બન્યા હોત તો ભારત-રશિયા વચ્ચેના વ્યાપારિક સંબંધો મુશ્કેલીમાં મુકાઈ શકત.
ધાર ભોજશાળા કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ
"ધાર ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. જોકે, મુસ્લિમ પક્ષને મોટી વચગાળાની રાહત આપતા કોર્ટે દર શુક્રવારે બપોરે ૧થી ૩ વાગ્યા સુધી પરિસરની નજીક નમાઝ પઢવા માટે યોગ્ય ખુલ્લી જગ્યા આપવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ASIને ઐતિહાસિક માળખામાં કોઈ ફેરફાર ન કરવા પણ તાકીદ કરી છે."
વૈષ્ણોદેવી મંદિરમાં ચાંદી કૌભાંડ!
માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં ભક્તોએ ચઢાવેલા ચઢાવામાં ૫૫૦ કરોડ રૂપિયાથી વધુની નકલી ચાંદી પકડાવવાના મામલે જમ્મુ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીને કેસના તમામ અસલી દસ્તાવેજો અને રેકોર્ડ સાથે 29 જુલાઈએ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થવા આદેશ કર્યો છે.
ગુજરાત ટેરર મોડ્યુલ પર સકંજો
ગુજરાત રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરતા ગુજરાત અને મધ્યપ્રદેશ ATSની ટીમે સિદ્ધપુરમાં મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ ૫ શંકાસ્પદોને ડિટેન કરાયા છે. પકડાયેલા આતંકી મોહમદ અમીન શેરાના ઘર અને બજારોમાં પૂછપરછના આધારે તપાસ તેજ કરાઈ છે.
જૂનાગઢ મનપા પેટાચૂંટણી વિવાદ
જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૩ની પેટાચૂંટણીમાં ભાજપે ગુજસીટોકના મુખ્ય આરોપી અબ્બાસ કુરેશીના સગ્ગા ભાઈ અક્રમ કુરેશીને ટિકિટ આપતા વિવાદ સર્જાયો છે. જેલમાં બંધ પૂર્વ નગરસેવક સસ્પેન્ડ થતાં ખાલી પડેલી આ બેઠક પર ફોર્મ ભરીને અક્રમ કુરેશીએ ભાજપ તરફથી પોતાની જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અંબાજી ગબ્બર ચાર્જ વિવાદ
અંબાજીના પવિત્ર ગબ્બર પર્વત પર હવન, ધજા, અન્નકૂટ અને ગરબા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ માટે વહીવટી તંત્ર દ્વારા ફિક્સ ચાર્જ નક્કી કરવામાં આવતા યાત્રાળુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે, મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે ભક્તો સાથે થતી છેતરપિંડી અટકાવવા અને વ્યવસ્થિત આયોજન માટે આ નિર્ણાયક પગલું લેવાયું છે.
જામનગર દલિત સમાજના ધરણાં
જામનગરના વિભાપર ગામની દીકરીના અપહરણના ૭ દિવસ બાદ પણ કોઈ ભાળ ન મળતા દલિત સમાજમાં ભારે આક્રોશ છે. પોલીસ તંત્ર પર ઉદાસીનતા અને ભેદભાવનો આક્ષેપ લગાવી આજે સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી બહાર વિશાળ ધરણાં કર્યા હતા. સાથે જ ડી.એસ.પી.ને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવવામાં આવશે અને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે.

